બેંકોનું કામકાજી સપ્તાહ છને બદલે પાંચ દિવસનું થઇ શકે
નવી દિલ્હી, 22 એપ્રિલ : ઇન્ડિયન બેંક એસોસિએશન (IBA) છેલ્લા ઘણા સમયથી કર્મચારી સંગઠનોની બેંકોની શાખાઓ સપ્તાહમાં 5 દિવસ ખુલ્લી રાખવાની માંગણી અંગે વિચારણા કરી રહ્યું છે. જો બધું ઠીક ઠાક ઉતર્યુંતો ટુંક સમયમાં બેંકો પણ પાંચ દિવસ કામકાજ કરશે.
આ મુદ્દા સાથે સંકળાયેલા એક સુત્રએ જણાવ્યું કે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા હેઠળ બેંકોના કર્મચારી સંગઠન દ્વારા સપ્તાહમાં પાંચ દિવસના બેન્કીંગ કામકાજ માટેની માંગણીના મામલામાં પીછે હઠનો ઇન્કાર કરાતા આઇબીએ હવે શનિવારે બેન્કો બંધ રાખવાથી થનારા ફાયદા-નુકસાનનો અભ્યાસ કરી રહ્યું છે.
આ પ્રસ્તાવને સરકારે પહેલા જ ફગાવી દીધો હતો. પરંતુ યુનિયનો પોતાની માંગણી ઉપર અડગ છે અને તેઓનો તર્ક છે કે વધારાના કામકાજના કલાકોને કારણે કર્મચારીઓના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા ઉપર અસર પડી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આઇબીએ આ પ્રસ્તાવના ગુણ-દોષના અભ્યાસ બાદ નવી સરકારની રચના બાદ રિપોર્ટ સરકારને સોંપી શકે છે. જાહેર ક્ષેત્રની એક બેંકના ટોચના અધિકારીએ કહ્યું હતું કે જયારે સરકાર રિઝર્વ બેંક નાણાકીય સમાવેશન પર આગળ વધી રહ્યા છે ત્યારે બેંકની શાખાઓમાં કામના કલાકો ઘટાડવા એક પગલું પાછળ જવા સમાન હશે.
કર્મચારી સંગઠનોએ એ બાબતની પુષ્ટી કરી છે કે તેમની માંગણીઓ ઉપર પુનઃ વિચાર થઇ રહ્યો છે. આઇબીઇએના મહામંત્રી વેંકટાચલમે કહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય બેન્કીંગ પ્રણાલીમાં સપ્તાહમાં પાંચ દિવસના કામકાજનું ચલણ છે. ભારતમાં પણ આરબીઆઇ અને કેન્દ્ર-રાજય સરકારો સહિત અનેક જાહેરક્ષેત્રોની કંપનીઓમાં પણ આવી વ્યવસ્થા છે. અમારી માંગણી છે કે ફાઇવ-ડે વીક બેન્કીંગ ઉદ્યોગમાં પણ લાગું થવું જોઇએ.
કર્મચારી સંગઠનનું કહેવુ છે કે આ પગલાથી ગ્રાહક સેવાઓ ઉપર કોઇ અસર નહી પડે કારણ કે એટીએમ, નેટ બેન્કીંગ, ફોન બેન્કિંગ જેવા વૈકલ્પિક માધ્યમો પહેલેથી જ ઉપલબ્ધ છે. ગ્રાહક આના થકી પણ શનિવારે લેવડ-દેવડ કરી શકે છે એટલુ જ નહીં આનાથી રોકડ લેવડ-દેવડ ઘટશે અને ઇલેકટ્રોનીક પ્રણાલીને બળ મળશે.