HDFCમાં HDFC Bankના વિલિનિકરણનો વિચાર અયોગ્ય : ચેરમેન દીપક પારેખ
મુંબઇ, 22 જુલાઇ : દેશમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસીના ચેરમેન દીપક પારેખે સ્પષ્ટ કર્યુ છે કે હાલ એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જરની કોઈ યોજના નથી.
દીપક પારેખે જણાવ્યું કે બંને કંપનીઓનું બોર્ડ જ આ વિશે નિર્ણય લઈ શકે છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે આ મર્જરથી બંને કંપનીને ફાયદો થાય. છેલ્લાં કેટલાક સમયથી એચડીએફસી અને એચડીએફસી બેન્કના મર્જરની અફવાઓ ઉડી રહી છે.
હાલ એચડીએફસી બેંકને અફોર્ડેબલ હાઉઝિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ માટે લાંબા સમયના બોન્ડ પસાર કરવાની મંજૂરી બાદ એવી ધારણા લગાવાઈ રહી છે કે બંને કંપનીનું મર્જર જલ્દીથી થઈ શકે છે.
નોંધનીય છે કે જૂન 2014 માં સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં એચડીએફસી બેંકનો ચોખ્ખો નફો 14 ટકા વધ્યો હતો. કંપનીની લોનમાં વૃદ્ધિ અને સંચાલકીય ખર્ચ પર અંકુશના કારણે નફો વધારવામાં મદદ મળી હતી. જૂન 2014 ક્વાર્ટરમાં સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો વધીને રૂપિયા2,233 કરોડ થયો હતો. ગયા વર્ષે આ જ સમય ગાળામાં બેંકનો નફો રૂપિયા1,844 કરોડ નોંધાયો હતો.