Exclusive : ટી 20-વન ડેનો યુવરાજ, શું બનશે ટેસ્ટનો સરતાજ?
અમદાવાદ, 31 માર્ચ : નરેન્દ્ર મોદી હવે માત્ર એક નામ નથી, પણ એક મુદ્દો છે. આ મુદ્દાની આજુબાજુ જ દેશનું રાજકારણ ફરી રહ્યું છે. છેલ્લા એક વરસથી આ નામ ગુજરાતથી લઈ દિલ્હી અને દિલ્હીથી લઈ અમેરિકા-બ્રિટન સુધી ગુંજી રહ્યું છે અને હવે તો ભારતીય જનતા પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું એક નામ નહીં, પણ એક મિશન બની ગયુ છે.
પરંતુ અહીં સૌથી મહત્વની બાબત એ છે કે દેશમાં અને રાષ્ટ્રીય ફલકે વિસ્તૃત થયેલા નરેન્દ્ર મોદીની પાછળ કોણ છે? આ પ્રશ્નના જવાબમાં એક વ્યક્તિ કે વ્યક્તિઓ તરીકે અથવા એક પક્ષ તરીકે તો ઘણા નામો અને સંગઠનો સામે આવી શકે છે, પરંતુ આ પ્રશ્નના જવાબ તરીકે જોડાવવાનો જો સૌથી મોટો કોઈને હક હોય, તો તે છે ગુજરાત, કારણ કે જો ગુજરાતે નરેન્દ્ર મોદીના નેતૃત્વને વારંવાર ટેકો ન આપ્યો હોત, તો તેઓ આટલી મોટી શક્તિ તરીકે ઉપસી ન શક્યા હોત.
આપના મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશો કે અહીં વારંવાર ટેકાની વાત કેમ કહી છે? ગુજરાતે તો ત્રણ જ વાર બહુમતી આપી છે? પરંતુ એવુ નથી. ગુજરાતે વારંવાર નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો છે. જ્યારથી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યો છે, ત્યારથી ગુજરાતમાં વિધાનસભાની ત્રણ ચૂંટણીઓ ઉપરાંત અનેક પંચાયતો, નગર પાલિકાઓ અને મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં પણ ગુજરાતના લોકોએ નરેન્દ્ર મોદીના નામે ખોબે-ખોબે મત ભાજપને આપ્યાં છે.
નરેન્દ્ર મોદીની ગુજરાતમાં આ સફળતાને જો ક્રિકેટ સાથે સરખાવવામાં આવે, તો બે બાબતો ઉપસીને સામે આવે છે. પહેલી તો એ કે જો ચૂંટણીઓને ક્રિકેટ કહીએ, તો પંચાયતો-નગર પાલિકાઓ અને મહાનગર પાલિકાઓને ક્રિકેટના ટી 20 ફૉર્મેટ તરીકે સ્વીકારી શકાય અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને વન ડે ફૉર્મેટ ગણી શકાય. હવે રહી વાત ટેસ્ટ ફૉર્મેટની, તો તેની સરખામણી સ્વાભાવિક રીતે લોકસભા ચૂંટણી સાથે જ કરી શકાય. નરેન્દ્ર મોદી ક્રિકેટની પ્રથમ બંને ફૉર્મેટમાં સફળ રહ્યા છે અને એટલે જ તો તેમને ટેસ્ટ ફૉર્મેટમાં તક મળી છે. બીજી બાબત નરેન્દ્ર મોદીની એક ખેલાડી તરીકેની સરખામણીની છે, તો સૌ જાણે છે કે ભારતીય ક્રિકેટ ટીમના એક એવા શાનદાર બેટધર છે કે જે ક્રિકેટના પ્રથમ બંને ફૉર્મેટમાં અત્યંત સફળ રહેલા છે અને ટેસ્ટની વાત આવતા જ તેમના નામ પ્રત્યે પસંદગીકારોને સૂગ થઈ આવે છે. હા જી, આ ખેલાડી છે યુવરાજ સિંહ.
હવે નરેન્દ્ર મોદી અને યુવરાજ સિંહ વચ્ચેની સામ્યતા ચકાસી લઇએ. ચૂંટણીના બે ફૉર્મેટમાં નરેન્દ્ર મોદી શાનદાર સફળ રહ્યાં છે અને તેના જ બળે તેઓ ટેસ્ટ ફૉર્મેટમાં ઉતારવામાં આવ્યાં છે. બીજી બાજુ યુવરાજ સિંહ ટી 20 અને વન ડેમાં શાનદાર સફળતા મેળવવા છતા ટેસ્ટમાં કેટલીક તકો મળતા સફળ નહોતા રહ્યાં, પરંતુ નરેન્દ્ર મોદીને પહેલી વાર ટેસ્ટ એટલે કે લોકસભા ચૂંટણી માટે તક આપવામાં આવી છે. અહીં સવાલ એ જ ઉભો થાય છે કે ટી 20 અને વન ડેના યુવરાજ સિંહ નરેન્દ્ર મોદી શું ટેસ્ટના સરતાજ બનશે કે પછી યુવરાજ સાબિત થશે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :
7મી ઑક્ટોબર, 2001ના રોજ શપથ
નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 7મી ઑક્ટોબર, 2001ના રોજ શપથ ગ્રહણ કર્યા હતાં. નરેન્દ્ર મોદી 26મી ફેબ્રુઆરી, 2002ના રોજ પોતાના જીવની પ્રથમ ચૂંટણી રાજકોટ-2 વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતાં કે જે પેટા ચૂંટણી હતી.
પહેલો પડકાર
નરેન્દ્ર મોદી માટે પહેલો પડકાર હતી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2002. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા જ મોદીએ જાહેરાત કરી હતી કે તેઓ ગુજરાતમાં ટેસ્ટ નહીં, પણ વન ડે રમવા આવ્યાં છે અને સાચે જ તેમણે આ ચૂંટણીમાં બે તૃત્યાંશ બહુમતી મેળવી હતી.
બીજો પડકાર
ગુજરાતમાં ભાજપની હાલકડોલક પરિસ્થિતિને સુધારવા માટે કેશુભાઈ પટેલના સ્થાને મુખ્યમંત્રી પદે આરૂઢ કરાયેલા નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2002 તો જીતી લીધી, પરંતુ તેમની સામે હવે બીજો પડકાર હતો રાજ્યની છ મહાનગર પાલિકાઓમાં ભાજપને પુનઃ સત્તારૂઢ કરવાનો. મોદીએ 2005માં યોજાયેલ અમદાવાદ, સૂરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ભાજપને સત્તા અપાવી. આ ચૂંટણીના પ્રચારમાં પણ નરેન્દ્ર મોદી ઉતર્યા હતાં. તેઓ એવા પહેલા મુખ્યમંત્રી હતાં કે જેઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીના પ્રચારમાં ઉતર્યા હતાં.
ત્રીજો પડકાર
નરેન્દ્ર મોદી સામે ગુજરાત વિધનસભા ચૂંટણી 2007 ત્રીજો પડકાર હતી અને આ પડકાર પણ તેઓ સફળતાપૂર્વક પાર કરી શક્યાં. મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે સતત બીજી વાર બહુમતી હાસલ કરી અને આમ નરેન્દ્ર મોદી સતત મજબૂત થતા ગયાં.
સતત સફળતા
ગુજરાતમાં 2001માં સત્તાની બાગડોર સંભાળ્યા બાદ બે વિધાનસભા ચૂંટણીઓ ઉપરાંત અનેક મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં પણ ભાજપને સતત સફળતાઓ મળતી રહી અને નરેન્દ્ર મોદી લોકપ્રિયતાની દરેક કસોટીમાંથી પાર ઉતરતા ગયાં.
ચૅમ્પિયન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 આવતા સુધી તો ગુજરાતમાં મોટાભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપ સત્તાપક્ષ તરીકે સ્થાપિત થઈ ચુક્યો હતો અને નરેન્દ્ર મોદી સતત મજબૂત બનતા જતા હતાં. આ સાથે જ નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસને પણ દેશ ભરમાં ચર્ચામાં લાવતા ગયાં. દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 આવી કે જે નરેન્દ્ર મોદી માટે સીમાચિહ્ન સાબિત થઈ. આ ચૂંટણીમાં સતત ત્રીજી વાર વિજય મેળવી નરેન્દ્ર મોદી ટી 20ની સાથે-સાથે વન ડેના પણ ચૅમ્પિયન બની ગયાં.
હવે ટેસ્ટની આકરી કસોટી
હવે નરેન્દ્ર મોદી સામે ટેસ્ટની આકરી કસોટી છે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે ટી 20 અને વિધાનસભા ચૂંટણીઓ એટલે કે વન ડેમાં શાનદાર ફટકાબાજી કરી સફળતા મેળવનાર નરેન્દ્ર મોદીએ હવે લોકસભા ચૂંટણી એટલે કે ટેસ્ટ મૅચની આકરી કસોટીમાંથી પાર ઉતરવું છે.
નરેન્દ્ર મોદી બનશે સરતાજ?
સૌ જાણે છે કે ટેસ્ટ ફૉર્મેટને આજે પણ ક્રિકેટમાં સૌથી ઉંચુ સ્થાન આપવામાં આવે છે, કારણ કે આ ફૉર્મેટ ખેલાડી પાસે ધૈર્ય અને લગન માંગી લે છે અને એટલે જ યુવરાજ જેવા ફાંકડા બૅટધર આ ફૉર્મેટમાં સફળ નથી થઈ શક્યાં. હવે જોવાનું એ જ છે કે શું ટી 20 અને વન ડેના યુવરાજ નરેન્દ્ર મોદી ટેસ્ટના સરતાજ બની શકશે?