Good News : રાજકુમાર સંતોષીની ફિલ્મ સાથે કમબૅક કરશે મનીષા કોઈરાલા
મુંબઈ, 1 ઑક્ટોબર : કૅંસર જેવી પ્રાણઘાતક બીમારી ઉપર વિજય મેળવનાર બૉલીવુડ અભિનેત્રી મનીષા કોઈરાલા ટુંકમાં જ કમબૅક કરવા જઈ રહ્યા છે. તેઓ છેલ્લે હૉરર ફિલ્મ ભૂત રિટર્ન્સમાં દેખાયા હતાં. પછી તેઓ કૅંસરનો ભોગ બન્યા હતાં અને સર્જરી બાદ હાલ તેઓ સમ્પૂર્ણપણે સાજા થઈ ગયાં છે અને હવે તેઓ રાજકુમાર સંતોષીની આગામી ફિલ્મ દ્વારા બૉલીવુડમાં કમબૅક કરવાની તૈયારી કરી રહ્યા છે.
મનીષા કોઈરાલાના મૅનેજર સુબ્રતો ઘોષે આઈએએનએસને જણાવ્યું કે મનીષા હવે બિલ્કુલ સ્વસ્થ છે અને સાજા છે. ઘોષે કહ્યું, ‘તેઓ (મનીષા) હાલ ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ પર વિચાર કરી રહ્યાં છે અને તેમણે રાજકુમાર સંતોષીની ફિલ્મમાં કામ કરવાનું મનોમન નક્કી કરી લીધું છે. તેમને ફિલ્મની વાર્તા ગમી છે અને બધુ બરાબર રહે, તો જાન્યુઆરી-2015થી તેઓ શૂટિંગ શરૂ કરી દેશે. આ ફિલ્મમાં મનીષા કોઈરાલા મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મમાં પંકજ કપૂર પણ મહત્વની ભૂમિકામાં હશે.'
નોંધનીય છે કે મનીષા કોઈરાલાની રાજકુમાર સંતોષી સાથે આ બીજી ફિલ્મ હશે. આ અગાઉ મનીષાએ 2001માં આવેલી રાજકુમાર સંતોષીની લજ્જા ફિલ્મમાં કામ કર્યુહતું. કહે છે કે સંતોષી-મનીષાની આગામી ફિલ્મ લીક સે હટકે હશે.
ચાલો જોઇએ મનીષા કોઈરાલાની તસવીરો :
કૅંસર સામે વિજય
નેવુના દાયકાના સુંદર અભિનેત્રી મનીષા કોઈરાલાએ ગત વર્ષે કૅંસર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી વિજય મેળવ્યો છે.
આત્મવિશ્વાસ વધ્યો
પોતાની બીમારી સામે જંગ લડી મનીષાની અંદર વધુ આત્મવિશ્વાસ પેદા થઈ ગયો છે.
કમબૅકની તૈયારી
મનીષાની ફિલ્મોમાં વાપસી અંગે ઘણા સમયથી અટકળો લગાવાઈ રહી છે.
સુપરહિટ ફિલ્મો
સૌદાગર ફિલ્મથી શરુઆત કરનાર મનીષા કોઈરાલાએ બૉલીવુડમાં દિલ સે, 1942 ઍ લવ સ્ટોરી, બૉમ્બે, અગ્નિસાક્ષી, અકેલે હમ અકેલે તુમ, ગુપ્ત અને કચ્ચે ધાગે જેવી ફિલ્મો પણ આપી હતી.
ભૂત રિટર્ન્સ છેલ્લી ફિલ્મ
છેલ્લે મનીષા રામ ગોપાલ વર્માની ભૂત રિટર્ન્સ ફિલ્મમાં દેખાયા હતાં.
ઇલુ ઇલુ ગર્લ
મનીષાની પ્રથમ ફિલ્મ સૌદાગરમાં ઇલુ... ઇલુ... ગીત હતું અને તે પછી મનીષા કોઈરાલા બૉલીવુડમાં ઇલુ ઇલુ ગર્લ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતાં.
ખુશ છે મનીષા
બૉલીવુડના ઈલૂ ઈલૂ ગર્લ મનીષા કોઈરાલા કૅંસર મુક્ત થયાં બાદ ખુશખુશાલ અને હર્ષિત છે. તેમણે આ બાબતની સાબિતી રૂપે પોતાની ખુશખુશાલ અને સ્મિત ફરકાવતી તસવીરો પોતાના ફૅસબુક વૉલ ઉપર પોસ્ટ પણ કરી હતી.
ન્યુયૉર્કમાં સારવાર
ન્યુયૉર્ક ખાતે છ માસ સારવાર માટે રહ્યા બાદ ગત વર્ષે જૂનના અંતે મનીષા કોઈરાલા સ્વદેશ પરત ફર્યાં હતાં.
કૅંસરનું નિદાન
બૉલીવુડમાં બૉમ્બે, 1942 ઍ લવ સ્ટોરી તથા દિલ સે જેવી ફિલ્મોમાં અભિનય કરનાર 44 વર્ષીય અભિનેત્રી મનીષા કોઈરાલાને 28મી નવેમ્બર, 2012ના રોજ મુંબઈની જસલોક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
અમેરિકામાં સારવાર
ઓવેરિયન કૅંસરનું નિદાન થયાં બાદ મનીષા કોઈરાલા સારવાર માટે અમેરિકા ચાલ્યા ગયા હતાં.
પુનર્જન્મ
ન્યુયૉર્ક ખાતે ઓવેરિયન કૅંસરની છ માસ સુધી સારવાર લીધા બાદ મનીષા કોઈરાલા કૅંસર મુક્ત થયાં છે. તેમણે કૅંસર મુક્તિને પોતાનો પુનર્જન્મ ગણાવ્યો છે.
ફૅન્સનો આભાર
મનીષાએ પોતાના માટે પ્રાર્થના કરનાર તમામ ફૅન્સનો પણ આભાર વ્યક્ત કર્યો - બીમારી દરમિયાન મેં જોયું કે મારા જૂના-નવા મિત્રો, મારું પરિવાર, મારા કૅંસર ક્લબ સભ્યોએ મને સધિયારો આપ્યો. મારા માતા, ઈશ્વર તથા ફૅમિલી અને તમામ ફેસબુક તેમજ ટ્વિટર મિત્રોએ પણ મને સહકાર આપ્યો. આ મારો પુનર્જન્મ છે.
લજ્જા ગર્લ
હવે મનીષા કોઈરાલા રાજકુમાર સંતોષીની આગામી ફિલ્મ સાથે બૉલીવુડમાં કમબૅક કરવાની તૈયારીમાં છે. મનીષાએ સંતોષી સાથે લજ્જા ફિલ્મમાં કામ કર્યુ હતું.