વડોદરામાં કોમી અથડામણ, 20 જેટલાં વાહનો આગમાં ભડથું
વડોદરા, 29 સપ્ટેમ્બર: નવરાત્રિના પહેલા દિવસથી જ વડોદરમાં કોમી અથડામણ શરૂ થઇ ગઇ છે. આ અથડામણ ત્યારે વધી જ્યારે કેટલીક વાંધાજનક તસવીરો ફરતી થઇ. પોલીસ આ વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહી છે જેથી અન્ય કોઇ અપ્રિય ઘટના ના ઘટે.
શા માટે આ કોમી અથડામણ થઇ?
કોમી અથડામણ વડોદરાના યકુતપુરા, પાંજરાપોળ, ફતેહપુરા અને કુંભારવાડા વિસ્તારમાં થઇ હતી. આ અથડામણ સોશિયલ મીડિયા પર કેટલીંક અપમાનજનક તસવીરો ફરતી થવાના કારણે થઇ હતી.
આ કોમી અથડામણ બે જૂથોના નેતાઓ વચ્ચેની આંતરિક દુશ્મનાવટને કારણે થઇ હતી. પરંતુ વાત ત્યારે વધારે વણસી હતી, જ્યારે બે અલગ અલગ જૂથના કિશોરોનું એકબીજા સાથે અકસ્માત થયું. અહેવાલ અનુસાર ગુરુવારે 20 જેટલી બાઇકોને આગ ચાંપી દેવાની ઘટના ઘટી હતી.
આ ઘટના બાદ પાનીગેટ, વાડી, મેમન કોલોની, આજવા રોડ અને નવાપુરા વિસ્તારમાં પત્થરમારાની ઘટના પણ ઘટી હતી.
શુક્રવારે પણ વડોદરામાં ઘણા વિસ્તારોમાં નાની મોટી ઘટના નોંધાઇ હતી. પોલીસે યકુતપુરા, પાંજરાપોળ, ફતેહપુરા, કુંભારવાડા અને અન્ય વિસ્તારોમાં પત્થરમારાને રોકવા માટે ટોળા પર ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.
વડોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે આ કોમી અથડામણ એસએમએસ, વોટ્સઅપ, અને ફેસબુક પર ફરતી થયેલી વાંધાજનક અને અપમાનજક તસવીરના કારણે થવા પામી હતી.
વડોદરા પોલીસ કમિશ્નર ઈ. રાધાક્રિષ્નને જણાવ્યું કે 'ગુરુવાર અને શુક્રવારે શહેરમાં સોશિયલ મીડિયા પર ફરતી થયેલી અફવાના કારણે કોમી અથડામણ થઇ હતી. જોકે શહેરમાં કોઇ મોટા પાયે ઘટના ઘટવા પામી નથી. આખું શહેર પોલીસ કંટ્રોલમાં છે. રાજ્ય ગૃહ મંત્રાલયે એવો નિર્ણય લીધો છે કે અફવા ફેલાવતા મોલાઇલ ઇન્ટરનેટ કનેક્શન રદ્દ કરવામાં આવે.'
જોઇન્ટ પોલીસ કમિશ્નર ડી જે પટેલે રવિવારે જણાવ્યું હતું કે શહેરમાં ગઇકાલની સરખામણીએ સ્થિતિ કાબૂમાં છે, જોકે ગઇકાલે રાત્રે જગમલાની પોલ વિસ્તારમાં એક છરાબાજીનો કિસ્સો સામે આવ્યો છે.
અથડામણગ્રસ્ત વિસ્તારમાંથી 100 જેટલા તોફાનીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બે સીઆરપીએફ કંપનીને શહેરમાં ગોઠવી દેવામાં આવી છે. કોઇ અફવા ના ફેલાય તેના માટે મોબાઇલ ઇન્ટરનેટની સુવિધા શહેરમાં બંધ કરી દેવામાં આવી છે. અહીં સુધી સરકારે મોબાઇલ ડેટા, બલ્ક એસએમએસ વગેરેને ડિલિટ કરવાનું ફરમાન જારી કરી દીધું છે.