અમદાવાદમાં પત્નીના અફેરની શંકાએ પિતાએ બે પુત્રીઓની હત્યા કરી
અમદાવાદ, 25 ઓગસ્ટ : ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલા સરદારનગર વિસ્તારમાં પતિ પત્નીના ઘર કંકાસે પુત્રીઓનો ભોગ લીધો છે. આ ઘટનામાં પિતાએ પુખ્ત વયની બે પુત્રીઓની બેરહેમીથી હત્યા કરી પોતાને પોલીસને હવાલે કરતા ચકચાર મચી ગઇ છે. આ અંગે સરદારનગર પોલીસે ગુનો નોધી આરોપી પિતાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
આ ચકચારી બનાવની વિગતો એવી છે કે સરદારનગર વિસ્તારમાં આવેલા સમરથનગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ મણિલાલ લેઉવા પરિવાર સાથે રહે છે. ભરતભાઇ બીએસએનએલ ઓફિસમાં ફરજ બજાવે છે. તેમને ત્રણ દીકરીઓ છે.
છેલ્લા 17 વર્ષથી પત્ની ભરતભાઇની ચાલ ચલગત પર વારંવાર શંકા કરતી હતી. તેમને અન્ય સાથે પ્રેમ સંબંધ હોવા મુદ્દે તેમના ઘરમાં વારંવાર ઝધડા થતા હતા. ઘરમાં થતાં ઝધડાના કારણે તેમની નાની પુત્રીની માનસિક સ્થિતી સારી ન હોવાનું તેમણે જણાવ્યું હતું.
રવિવારે તેમની પત્ની સૌથી મોટી દીકરીને લઇને પીયેર ગયા હતા ત્યારે ઝધડાથી કંટાળી જઇ તેઓએ ઘરમાં બનાવેલી ખિચડીમાં ઉંધની 12 ગોળીઓ ભેળવી દીધી હતી. આ ખિચડી ખવડાવીને તેમણે ઘરે રહેલી બંને પુત્રીઓને બેહોશ કરવા કોશીશ કરી હતી. મોટી પુત્રી ભુમિકા (ઉં. 24)ગોળીઓના અસરના કારણે બેહોશ થઇ ગઇ હતી. તેને દોરડા વડે ગળે ટુપો દઇ પાઇપને દોરીના વળ ચઢાવી હત્યા કરી હતી.
જો કે નાની પુત્રી ફાલ્ગુની (ઉં.19)ને ગોળીઓની અસર ન થતાં તેમણે ઠંડા પીણા સ્પ્રાઇટમાં બીજી આઠેક ગોળીઓ નાખી તેને પિવડાવી દીધી હતી. ફાલ્ગુનીને પણ ઘેન ચડતા જ દોરડા વડે ટુપો આપી તેની પણ નિર્દયતા પુર્વક હત્યા કરી નાખી હતી.
ઠંડા કલેજે હત્યા કર્યા બાદ પિતા ભરતભાઇએ પરિવારજનોને ફોન કરીને જાણ કરી હતી અને પોતે સરદારનગર પોલીસ મથકે હાજર થઇ ગયા હતા. હકીકત જાણીને પોલીસે તાત્કાલિક એમ્યુલન્સ મોકલીને બે દીકરીઓના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જ્યારે ભરતભાઇ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.