જૂનાગઢમાં રાત્રે કોમી અથડામણ, પોલીસે ટીયરગેસ છોડી સ્થિતિ કાબૂમાં લીધી
જૂનાગઢ, 19 જુલાઇ : ગુજરાતના જૂનાગઢમાં 18 જુલાઇ, 2014ને શુક્રવારની સાંજે એક સામાન્ય છમકલા બાદ રાત્રે બે કોમી જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસે અથડામણના સ્થળે ટીયરગેસ સેલ છોડ્યા બાદ ટોળા વિખરાતા પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ શહેરના અતિસંવેદનશીલ જૂનાગઢી વિસ્તારમાં સાંજના સમયે રીક્ષા પાર્કિંગના મુદ્દે તકરાર થતા એક યુવકને માર મરાયો હતો. આઘટના બાદ જોતજોતામાં પટેલ ફળિયા, ચાબુક સવાર મહોલ્લા તથા ભદ્ર કચેરી તરફથી ટોળું જૂનીગઢી તરફ ધસી આવ્યું હતું અને બંન્ને ટોળાઓએ સામસામી પથ્થરમારો શરૂ કર્યો હતો.
સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલ પરિસ્થિતિ સર્જાતા ખુદ પોલીસ કમિશનર સતિશ શર્મા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અથડામણમાં તોફાનીઓ કાબૂમાં નહિ રહેતા પોલીસે ટીયરગેસના સેલ છોડી ટોળાને વિખેર્યા હતા, જેથી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. જો કે પોલીસે તોફાનીઓને ઝડપી પાડવાના બદલે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. સ્થળ પર હાજર લોકોએ આ અથડામણ પૂર્વયોજિત હોવાનો આક્ષેપ કર્યો હતો.
પોલીસે કડક કાર્યવાહીમાં ઢીલાશ રાખતા તોફાનીઓની હિંમત વધુ ખૂલી હતી અને થોડાસમય પછી તેફાનીઓએ એક દેશી રોકેટ પોલીસ હાજરીમાં જ ફેંક્યું હતું. જોતજોતામાં ચાબુકસવાર મહોલ્લો, પટેલ ફળિયા તથા ભદ્રકચેરી તરફથી ટોળા જૂનીગઢી તરફ પુનઃ ધસી આવ્યા હતાં. આ વખતે પોલીસની હાજરીમાં જ તોફાનીઓએ ભારે પથ્થરમારો કર્યો હતો.