ગુજરાતમાં ભાજપને ધૂળ ચટાડવા કોંગ્રેસે તૈયાર કરી U-Army
અમદાવાદ, 21 ઓગસ્ટ : ગુજરાતમાં પેટા ચૂંટણીઓનું જાહેરનામુ પડી ગયું છે. આ વખતે નરેન્દ્ર મોદીની આગેવાનીની ખોટનો લાભ ખાટવા માટે કોંગ્રેસે મોટી રણનીતિ તૈયાર કરી છે. જેના ભાગ રૂપે સમગ્ર ગુજરાતમાં ભાજપ અને તેની નીતિઓનો વિરોધ કરવા માટે કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાના વિચારને 'U Army (યુઆર્મી)'ની રચના કરી છે.
કોંગ્રેસના સ્વર્ગીય વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ પ્રસંગે ગુજરાત કોંગ્રેસે અમદાવાદના ટાગોર હોલમાં બુધવારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની બેઠકમાં ભાજપ વિરોધી બ્રિગેડ ઉભી કરવા માટે યુઆર્મીની રજૂઆત કરી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ NSUI અને યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપનો મુકાબલો કરવા એક કરોડ યુવાનોની આર્મી બનાવવા કહ્યું છે. વાઘેલાએ કહ્યું કે કોંગ્રેસના આંદોલનમાં કાર્યકર્તાઓ વધુમાં વધુ યુવાનોને સાંકળે એવી અપેક્ષા છે.
શંકરસિંહ વાઘેલાએ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું આપણું આંદોલન યુવાનોની માનસિકતાને બદલવાનું છે. યુવાનોને સાંકળો, ઓછામાં ઓછા એક કરોડ યુવાનો મળીને એન્ટી બીજેપી આર્મી બનાવે.
ગુજરાત કોંગ્રેસે બેરોજગાર યુવાનો અને ફિક્સ પગારમાં સરકારી નોકરી કરી રહેલા યુવાનો સાથે રાખવાની અપીલ કરી છે. આ પ્રસંગે કોંગ્રેસે યુઆર્મી અને ગુજરાત જન સંઘર્ષ સેના લોન્ચ કરી છે.
વાઘેલાએ કહ્યું આપણે રાજ્યમાં પરાજિત થયા કારણ કે યુવાનો અને મહિલાઓના મત ભાજપને મળ્યા. તેમણે આરોપ મુક્યો હતો કે ભાજપે યુવાનોને ખોટા વાયદા કર્યા છે અને વાયદા પૂરા કર્યા નથી.