ગુજરાતમાં પેટા ચૂંટણી પરિણામ બાદ કોંગેસનું સુકાન નવા પ્રમુખને સોંપાશે
અમદાવાદ, 13 સપ્ટેમ્બર : ગુજરાતમાં કોંગ્રેસની કંગાળ હાલતને જોતા હવે હાઇ કમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન નવા હાથોમાં સોંપવાનો નિર્ણય અંદરખાને લઇ લીધો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ નિર્ણય અનુસાર ગુજરાતમાં પેટા ચૂંટણીઓના પરિણામો આવી ગયા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ નવા પ્રમુખને નિયુક્ત કરશે.
ગુજરાતમાં પેટાચૂંટણીના પરિણામ 16 સપ્ટેમ્બરે જાહેર થયા બાદ કોંગ્રેસને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીના રૂપમાં નવા પ્રદેશ પ્રમુખ મળશે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી પછડાટ બાદ પ્રદેશ પ્રમુખપદેથી અર્જુન મોઢવાડિયાની વિદાય નિશ્ચિત માનવામાં આવતી હતી પરંતુ દેશભરમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા પછી હાઈકમાન્ડ પણ પરાજયના આઘાતમાં સરી પડ્યું હોવાથી રાજ્યના પ્રમુખ સહિતના સંગઠનમાં મોટાપાયે ફેરફારનો નિર્ણય ઘોંચમાં પડ્યો હતો.
ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલવા માટે હાઈકમાન્ડ દ્વારા લીલીઝંડી આપવામાં આવી હોવાનું કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે. નવા પક્ષ પ્રમુખના નામોમાં કોના પર પસંદગી ઉતારવી તે અંગે મોટો પ્રશ્ન છે. ગુજરાત પ્રદેશમાં અનુભવી નેતાઓ તરફ નજર કરતા હાઇકમાન્ડને ફરી એકવાર ભરતસિંહ સોલંકીમાં પ્રદેશ પ્રમુખ બનવાનું અને પાર્ટીને મજબૂત કરવાની ક્ષમતા દેખાઇ છે.
નોંધનીય છે કે ભરતસિંહ સોલંકી કોંગ્રેસના પીઢ નેતા અને એક સમયે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીના પુત્ર છે. તેઓ કેન્દ્રની યુપીએ સરકામાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકેનો હવાલો પણ સંભાળી ચૂક્યા છે.