માનવતાની મહેક : સુરતના બમરોલીમાં ગર્ભનાળને આધારે શાળામાં પ્રવેશ!!!
સુરત, 24 જુલાઇ : ગયા સપ્તાહે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં આવેલા બમરોલીમાં આવેલી પ્રાથમિક શાળામાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી હતી. જો કે આ ઘટનામાં એક મહિલાનું ભોળપણ અને અજ્ઞાનતા જોઇને શાળાના આચાર્યએ મહિલાના બાળકની ગર્ભનાળને આધારે તેને શાળામાં પ્રવેશ આપી દીધો હતો.
વાસ્તવમાં એક મહિલા પાસે તેના બાળકના જન્મનો કોઇ દસ્તાવેજ કે દાખલો ન હતો. આ કારણે મહિલા તેના બાળકની ગર્ભનાળ લઇને શાળાએ પહોંચી હતી. તેણે બાળકની ગર્ભનાળને શાળાના આચાર્ય સમક્ષ મૂકી દીધી. આ સાથે મહિલા બોલી 'લો સાહેબ, આ ગર્ભનાળ, મારા બાળકને શાળામાં પ્રવેશ આપો'. મહિલાના ભોળપણને જોઇને શાળાના આચાર્યએ મહિલાના 5 વર્ના બાળકને શાળામાં પ્રવેશ આપી દીધો હતો.
બમરોલી નગર પાલિકા દ્વારા સંચાલિત હિન્દી શાળા નંબર 91માં 1600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેના ધોરણ 1માં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. આ શાળામાં મોટા ભાગે શ્રમજીવીઓના બાળકો ભણે છે. 15 દિવસ પહેલા આ શાળામાં પોતાના બાળકનો પ્રવેશ કરાવવા માટે આવેલી એક શ્રમજીવી મહિલા પાસે આચાર્ય સૂર્યદેવ તિવારીએ જન્મનું પ્રમાણપત્ર લાવવા જણાવ્યું હતું. આ અંગે મહિલાના મનમાં અસમંજસની સ્થિતિ હતી કે જન્મનું પ્રમાણપત્ર શું હોય છે.
એક સપ્તાહ બાદ તે ફરી શાળાના આચાર્ય પાસે પહોંચી અને થેલીમાંથી એક રૂમાલ કાઢીને આચાર્યના હાથમાં મૂકી દીધો હતો. આચાર્યએ રૂમાલ ખોલીને જોયો તો તેમાં કોઇ સૂકાયેલી વસ્તુ જોવા મળી હતી. આચાર્યએ તેને પુછ્યું કે આ શું છે? તો મહિલાનો જવાબ સાંભળીને તેઓ આશ્ચર્ય સાથે અવાક્ બની ગયા. મહિલાએ અત્યંત સહજતાથી ઉત્તર આપ્યો હતો કે આ તેના બાળકની ગર્ભનાળ છે. આ સિવાય બાળકના જન્મનો કોઇ પુરાવો તેની પાસે નથી.
આ અંગે આચાર્ય સૂર્યદેવ તિવારીનું કહેવું છે કે મહિલા પાસે બાળકના જન્મપ્રમાણ પત્ર જેવો કોઇ દસ્તાવેજ ન હતો અને તેણે ગર્ભનાળને જ પ્રમાણ ગણવાની દરખાસ્ત કરી હતી. માનવતા, નિયમો અને શાળા જવા યોગ્ય બાળકો શિક્ષણથી વંચિત ના રહે તેવા દ્રષ્ટિકોણ સાથે તેના બાળકને શાળામાં પ્રવેશ આપી દેવાયો હતો.