ગુજરાતમાં ભારે વર્ષા : પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ
અમદાવાદ, 29 જુલાઇ : ગુજરાતમાં મોડા મોડા પધારેલા મેઘરાજા જાણે રેસમાં બધાથી આગળ નીકળી જવા માંગતા હોય તેમ જોરદાર વરસી રહ્યા છે. ગઇ કાલથી દક્ષિણ ગુજરાતને સપાટામાં લીધા બાદ આજે વડોદરા અને અમદાવાદને પણ ઝપાટામાં લઇ લીધું છે. વરસાદ બંધ નહીં રહે તો આજે સાંજે યોજાનારી સાબરમતી મૈયાની આરતીના આયોજન અંગે પણ દુવિધા ઉભી થઇ છે. આરતી સમયે નદીમાં 150 દીવાઓ પ્રગટાવવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે.
આજે મેઘરાજાએ બપોર બાદ અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોને પાણીમાં ગળાડૂબ કરી દીધા છે. અમદાવાદ પૂર્વની વાત કરીએ તો ખોખરા હાઉસિંગ બોર્ડમાં પાણી ભરાઇ ગયા છે. આ ઉપરાંત ખોખરા, હાટકેશ્વર, મણિનગર, ઇસનપુર સહિત સમગ્ર પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઇ જતા પૂર્વ અમદાવાદ બેટમાં ફેરવાઇ ગયું છે.
પૂર્વ અમદાવાદની ધડકન ગણાતા ભૈરવનાથ ચાર રસ્તા, મણિનગર અને ખોખરામાં ઠેર ઠેર પાણી ભરાતા સામાન્ય જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે. ખોખરા વિસ્તારમાં ખોડિયાર મંદિર સંકુલની વાવ પાણીથી ભરાઇ જતા લોકો તેને જોવા માટે ટોળે વળ્યા હોવાના અહેવાલ છે.
ખાસ કરીને શાળાએ ગયેલા વિદ્યાર્થીઓને કારણે વાલીઓ ચિંતામાં મુકાયા છે. કેટલીક શાળાઓએ સ્થિતિને સમજીને વિદ્યાર્થીઓને વાલીઓ સાથે સલામત રીતે રવાના કરવાનું શરૂ કરી દીધું છે.
અમદાવાદની લાઇફલાઇન બનવાના પ્રયત્નો કરી રહેલી બીઆરટીએસ બસ સેવાના રૂટમાં પણ અનેક જગ્યાઓએ પાણી ભરાઇ ગયા છે. જેના કારણે બીઆરટીએસ બસ સેવા ખોરવાઇ છે અને એક્સપ્રેસ જેવી સેવા આપવાને બદલે લોકલ સેવા આપી રહી છે. અનેક વિસ્તારોમાં અન્ડરબ્રિજમાં પાણી ભરાઇ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે.
અમદાવાદ ઉપરાંત મેઘરાજાએ પાટનગર ગાંધીનગરને પણ પાણીથી તરબતર કરવાનું શરૂ કર્યું છે.