તરસ્યા ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા
અમદાવાદ, 24 જુલાઇ : પાણી તરસ્યા ગુજરાતમાં મેઘરાજાએ ફરી મહેર કરી છે. મેઘરાજા છેલ્લા 24 કલાકમાં મન મૂકીને વરસ્યા છે. જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
વિતેલા ચોવીસ કલાકમાં અમદાવાદ સહિતના ગુજરાતના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર સૌથી વધારે સાડા પાંચ ઈંચ વરસાદ વલ્લભ વિદ્યાનગરમાં પડ્યો છે. જ્યારે સુરતમાં 4.39 ઈંચ વરસાદ થયો છે. વડોદરામાં પણ 3.3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ અનરાધાર હેત વરસાવતા સર્વત્ર 1 થી 1 ઇંચ ભારે વરસાદ ખાબકતા જનજીવન બાનમાં આવ્યુ હતુ. ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલે વરસાદ થયો હતો. જેમાં ડીસામાં 12 એમએમ, ઈડરમાં 49 એમએમ અને ગાંધીનગરમાં 42 એમએમ વરસાદ થયો હતો.
સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં અમરેલીમાં સૌથી વધારે 2.8 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે, ભાવનગરમાં પણ 2.8 ઈંચ વરસાદ થયો હતો. સુરેન્દ્રનગરમાં વિતેલા 24 કલાકમાં અઢી ઈંચ વરસાદ થયો હતો. જો કે, રાજકોટ અને પોરબંદરમાં છૂટોછવાયો વરસાદ જ થયો હતો. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, વલસાડમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં સાડા પાંચ ઈંચથી વધુ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. છેલ્લા 24 કલાકમાં 135.40 એમએમ નોંધાયે હતો અમદાવાદમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 176.51 મીમી નોંધાયો હતો.
નોંધનીય છે કે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. જેના કારણે નર્મદા ડેમની સપાટી આજે બપોરે 117.13 મીટરે પહોંચી હતી.