In Pics : ગુજરાતના સુપ્રસિદ્ધ તરણેતરના મેળાનો આજથી પ્રારંભ
થાન, 28 ઓગસ્ટ : ગુજરાતમાં આજથી સુપ્રસિદ્ધ તરણેતરના મેળાનો આરંભ થયો છે. તરણેતરનો મેળો રબારી સહિતની જાતિઓની ઓળખ સમાન રંગબેરંગી ભરતકામવાળી છત્રીઓ અને પરંપરાગત પરિધાનમાં સજ્જ યુવક-યુવતીઓને કારણે જાણીતો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ નજીક ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના સાંનિધ્યમાં દર વર્ષની માફક આજથી પરંપરાગત લોકમેળાનો આરંભ થઈ ચૂક્યો છે. આ મેળામાં ભરવાડ રબારી અને મેર સમાજના લોકો સમગ્ર કાઠિયાવાડમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડશે.
સૌરાષ્ટ્રમાં લોકમેળાની ભાતીગળ સંસ્કૃતિમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં દર વર્ષે યોજાતો લોકમેળો દાયકાઓથી લોકજીવનમાં ધબકતો રહ્યો છે. અહી લોકમેળાની સાથે ત્રણ દિવસનો ગ્રામીણ ઓલ્મ્પિક રમતોત્સવ પણ યોજવામાં આવે છે. જેમાં લાંબી દોડ, કુદ, કબડ્ડી, લંગડી, રસ્સાખેંચ, કુસ્તી, ખાંડના લાડવા ખાવાની સ્પર્ધા માટલો દોડ જેવી રમતો પણ યોજાય છે.
આ મેળામાં 29નાં દેશ વિદેશના પર્યટકો કાઠિયાવાડની સંસ્કૃતિને મનભરીને માણી શકે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં કચ્છની મેર રાસ મંડળી, જળગોપાલ રાસ, મંડળી, પઢાર રાસ મંડળી, કનૈયા માલધારી રાસમંડળી, અને બનેવી રાસ મંડળી રાસ રજૂ કરશે. જયારે મયુરદાન ગઢવી હાસ્યરસનું પાન કરાવશે. આ લોકમેળાને આજે સવારે 9 વાગ્યે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
પ્રવાસન વિભાગ દ્વારા અહી વિદેશી પર્યટકો માટે તંબુ વસાહત ઉભી કરવામાં આવી છે જેમાં જુદા જુદા દેશોના પ્રતિનિધિઓ મેળાના મહેમાન બનશે. ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર એ આ વિસ્તારમાં શ્રધ્ધાનુ મોટુ સ્થાનક ગણાય છે. આ લોકમેળામાં જવા માટે રાજકોટ ડિવિઝન હેઠળના સુરેન્દ્રનગર, ચોટીલા, થાન, હળવદતી તરણેતર જવા માટે 230 એસટી બસો ખાસ દોડાવવામાં આવી રહી છે.
1
થાનગઢમાં આવેલું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર
2
ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન માટેની ભક્તોની લાંબી લાઇન લાગી હતી.
3
ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો પરંપરાગત વેશભૂષામાં સજીને આવ્યા હતા.
4
મેળાના પ્રથમ દિવસે વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા જેની મજા માણવા ભીડ જામી હતી.
5
લોકોએ મોટ્ટા ચક્કરની મજા માણી હતી.
6
તરણેતરના મેળાની ઝલક