અમદાવાદ, 17 એપ્રિલ: હાલમાં દેશભરમાં ચૂંટણી મહોત્સવ ચાલી રહ્યો છે, 15મી લોકસભા ચૂંટણી માટે દેશભરમાં ચૂંટણી પંચ ચૂંટણી કરાવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ઠોકવગાડીને કહેતી આવી છે કે દેશભરમાં અત્યારે મોદીની લહેર છે, અને તે છે એમાં કોઇ શંકાને સ્થાન નથી. પરંતુ કોંગ્રેસ અને અન્ય દળોના નેતાઓ હંમેશા એવું કહેતા આવ્યા છે કે દેશમાં મોદીની લહેર ક્યાંય દેખાતી નથી. જોકે નરેન્દ્ર મોદીની લહેર દેશમાં છે કે નહી તે અંગેનો નિર્ણય તો લોકસભાની ચુંટણીના પરિણામો કરશે.
લોકસભાની ચૂંટણીના ઠીક બે મહિના પહેલાં કરાવવામાં આવેલા ચૂંટણી સર્વેમાં આ વાત સામે આવી છે કે યૂપી અને બિહારમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર દોડી રહી છે. એબીપી-નિલ્સન દ્વારા ફેબ્રુઆરીમાં કરાવવામાં આવેલા સર્વેમાં સ્પષ્ટ થઇ ગયું છે કે યૂપી અને બિહારમાં નરેન્દ્ર મોદીની લહેર દોડી રહી છે. સર્વે અનુસાર યૂપીની 80 સીટોમાંથી ભાજપને 40, કોંગ્રેસને 11, એસપીને 14, બીએસપી 13, જ્યારે આપ અને અન્યને 1-1 સીટ મળશે.
આ પહેલા એક વિદેશી બ્રોકરેજ કંપની નોમુરાને પણ ભારતમાં નરેન્દ્ર મોદીની લહેર દેખાઇ હતી. બ્રોકરેજ કંપનીએ જે તે સમયે એવું ભાંખ્યું હતું કે આવનારા વર્ષમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનવાની અમને આશા છે. આ કંપનીએ ત્યાં સુધી કહ્યું હતું કે બજારમાં તેજી આવવાનું કારણ પણ મોદીની લહેરને આભારી છે.
જુઓ દેશમાં મોદીની લહેર વિશે કોણ શું માને છે...
શૂટર રાજ્યવર્ધન રાઠોડ
રાજસ્થાનના જયપુર ગ્રામીણ બેઠકથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા શૂટર રાજ્યવર્ધન રાઠોડે જણાવ્યું કે રાષ્ટ્રીય મુદ્દા પર લોકો વોટિંગ કરી રહ્યા છે. રાઠોડે જણાવ્યું કે નરેન્દ્ર મોદીની લહેર દેશભરમાં છે.
મારી લહેર છે મોદીની નહીં: શિંદે
સુશીલ કુમાર શિંદેએ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે મારા વિસ્તારમાં મોદીની નહીં, શિંદેની લહેર છે. શિંદેએ એવો દાવો પણ કર્યો કે દેશમાં હવે પછીની સરકાર યુપીએની જ બનશે.
ક્યાંય મોદીની કોઇ લહેર નથી: સિંધિયા
જ્યોતિરાદિત્ય સિંધિયાએ વોટિંગ કર્યા બાદ જણાવ્યું કે હું સકારાત્મક અભિયાનમાં વિશ્વાસ રાખું છું. મને ક્યાંય પણ મોદીની કોઇ લહેર નથી દેખાઇ રહી.
દેશમાં અમારી સરકાર બનશે: શાહ
દેશમાં મોદીની લહેર સ્પષ્ટપણે દેખાઇ આવે છે અને આ વખતે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર બનાવવા જઇ રહી છે.
દેશમાં નરેન્દ્ર મોદીની કોઇ લહેર નહી: પ્રિયંકા
પત્રકારોએ એક સાથે પ્રિયંક ગાંધીને પૂછ્યું કે શું તમને નરેન્દ્ર મોદીની લહેર જોવા મળી રહી છે તો તેમણે સ્પષ્ટ કહ્યું કે 'બિલકુલ નહી...ક્યારેય નહી...મને લાગતું નથી કે આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની કોઇ લહેર છે.'
મોદીની લહેર નહી માત્ર ઝેર છે: કોંગ્રેસ પ્રવક્તા
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અંગે કોંગ્રેસ પ્રવક્તા મીમ અફઝલનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની કોઇ અસર નથી અને કોઇ લહેર નથી, આ માત્ર ઝેર છે. તેમણે આ વાત જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કરેલા એક નિવેદન પર કહી, જેમાં તેમણે જણાવ્યું હતું કે જનતા પર મોદીનો પ્રભાવ જરૂર છે, પરંતુ તેને મોદીની લહેર ના કહી શકાય.
'મોદી' નામની લહેર આખા દેશમાં છે : કલ્યાણ સિંહ
કલ્યાણ સિંહે પત્રકારોને કહ્યું કે મોદીની લહેર આખા દેશમાં ફેલાઇ રહી છે અને રાજનૈતિક દળ તેને સ્વીકાર પણ કરી રહ્યા છે. આવનાર લોકસભા ચૂંટણી રાષ્ટ્રવાદ તથા મુસ્લીમ તુષ્ટીકરણના મુદ્દા પર થશે. મોદી દેશની જરૂરિયાત છે અને લોકો તેમના એજન્ડાનું સમર્થન કરી રહ્યા છે.
તમિલનાડુની 40 સીટો વિનાપણ PM બનશે મોદી: વાઇકો
દેશમાં 'મોદીની લહેર'નું સમર્થન કરતાં એમડીએમકેના નેતા વાઇકોએ શનિવારે કહ્યું હતું કે વડાપ્રધાન પદ માટે ભાજપના ઉમેદવાર તમિલનાડુની 40 સીટો વગર પણ ચોક્કસ પણે આગામી વડાપ્રધાન બનવાના છે. વાઇકોની પાર્ટી એમડીએમકે ભાજપના નેતૃત્વવાળ ગઠબંધનનો ભાગ છે.
મોદીની લહેર અંગે મોદીનો શું મત છે...
નરેન્દ્ર મોદીએ એએનઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં દેશમાં મોદીની લહેર અંગે પૂછવામાં આવેલા સવાલમાં જણાવ્યું હતું કે દેશમાં વિકાસની લહેર છે, ભાજપની લહેર છે, ભાજપના કાર્યકરોની લહેર છે, દેશમાં દેશના લોકોની લહેર છે.