મોદી વિઝા વગર પહોંચ્યા યુએસ, સંબોધ્યા ગુજ્જુ ભાઇ-બહેનોને, જુઓ વીડિયો
ગાંધીનગર, 13 મે: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુએસના 20 જેટલા શહેરોને એકસાથે સંબોધ્યા હતા. નરેન્દ્ર મોદીએ એકવાર ફરી ટેકનોલોજીના માધ્યમથી અમેરિકાના ગુજ્જુભાઇ બહેનો સુધી પહોંચીને અંતરંગ વાતો કરી હતી. નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં ગુજરાતના છેલ્લા દસ વર્ષના વિકાસની ગાથાની વાત કરી હતી, ઉપરાંત તેમણે ભારત માતાની ગૌરવ ગાથા અંગેની ચર્ચા કરી પોતાની માતૃભૂમિ પ્રત્યે પ્રેમભાવ રાખવાનું આહ્વાન કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યની શરુઆતમાં દરેક ગુજરાતી ભાઇ બહેનોનો તેમનું ભાષણ સાંભળવા હાજર રહેવા માટે આભાર માન્યો. મોદીએ જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતે છે વિકાસ કર્યો છે તેનો શ્રેય કોઇ એક વ્યક્તિને નથી જતો, તેના માટે કોઇ એક વ્યક્તિ જવાબદાર નથી પરંતુ તેના માટે ગુજરાતના 6 કરોડ ભાઇ બહેનો જવાબદાર છે. મોદીએ જણાવ્યું કે દેશ હાલમાં એક મોટી ક્રાઇસીસ માથી પસાર થઇ રહ્યો છે. દેશના લોકોને એક વિશ્વાસની જરૂર છે. મોદીએ ઉમેર્યું કે વિશ્વાસ એ બહુ મોટી વસ્તુ છે. ગુજરાતમાં વિકાસ સંભવ બન્યો કારણ કે અહીની પ્રજા એકબીજાની પર વિશ્વાસ રાખે છે. લોકોમાં કેવી રીતે વિશ્વાસ પેદા કરવો તેના માટે તેમણે મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું ઉદાહરણ આપ્યું.
નરેન્દ્ર મોદીએ યુપીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે હાલમાં દેશ એક નવા સમસ્યામાંથી પસાર થઇ રહ્યો છે. દેશની ખરાબ હાલત નબળા સત્તાધીશોના કારણે થઇ છે. ચાઇનાએ આપણી સરહદમાં આવીને તંબુ બાંધી દીધા. અને તેની પ્રમાણે તેઓ આપણી સરહદ છોડી ગયા પરંતુ હું પુછવા માગું છું કે આપણા સૈનિકોએ આપણી સરહદ શા માટે છોડી? આપણે કેમ તેમને સબકના શીખવાડ્યો? આપણા વિદેશ મંત્રી આંતરરાષ્ટ્રીય સભાને સંબોધે છે અને ત્યાં બીજા દેશનું ભાષણ વાંચે છે. આપણા સૈનિકોના સર કલમ કરીને પાકિસ્તાની સૈનિકો લઇ જાય છે અને આપણી કેન્દ્ર સરકાર તેમના નેતાઓની મહેમાનગતી કરીને તેમને ચિકન બિરીયાની ખવડાવે છે. અહીં પ્રશ્નો ઊભા થાય છે.
યુપીએ સરકાર એક મજબૂત સરકાર બનાવવાનો દાવો કરે છે પરંતુ તેઓ દેશમાં માતા-બહેનોને સુરક્ષા આપી શકતા નથી. તેમના ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગે છે.
મોદીએ જણાવ્યું કે ગુજરાત સરકાર 'સર્વાંગી, સર્વસ્પર્શી, સર્વસમાવેશક, અને સર્વદૂર વિકાસ'ની નીતિ પર કામ કરે છે. અમે ગુજરાતના કોઇ એક ખૂણાનો વિકાસ નથી કરતા અમે સમગ્ર ગુજરાતના ખૂણેખૂણામાં વિકાસ પહોંચાડવાનું ભગીરથ કામ કરી રહ્યા છીએ. ગુજરાત સરકારે તાજેતરમાં વાપીથી મુંબઇ સુધીના ગોલ્ડન કોરીડોરની જાહેરાત કરી. પરંતુ હવે અમે કચ્છ, બનાસકાંઠા, રાધનપૂરના પણ વિકાસની જરૂર છે માટે અમે એટલે નહીં અટકીએ. ત્યારે જ તે સર્વસ્પર્શી કહેવાશે.
મોદીએ ગુજરાતના વિકાસનો શ્રેય 6 કરોડ ગુજરાતીઓને આપી જણાવ્યું કે કેટલાક ગુજરાત વિરોધીઓ એવા જુઠ્ઠાણા ફેલાવે છે કે ગુજરાતમાં અમે વિકાસની વ્યાખ્યા બદલી નાખી છે. મને વિશ્વાસ છે કે લોકો મારા ભાષણ બાદ કહેશે કે ફેકૂ ઇન્ડસ્ટ્રી સક્રીય છે પરંતુ ગુજરાત સરકારના વિકાસની આ નીતિથી આવનારા વર્ષોમાં તેને નવી ઉંચાઇયો પર લઇ જશે.
મોદીએ જણાવ્યું કે કેટલાંક સ્થળોએ સારી સંસ્થાઓ છે પરંતુ ક્યારેય આદિવાસી વિસ્તારમાં યુનિવર્સિટી જોઇ છે? અમે આની પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. જે તહેસીલમાં સાઇન્સ ભણવા માટે શાળા નથી તેની પર કામ કરી રહ્યા છીએ. ત્યારબાદ અમે મેડીકલ, એન્જિનિયરીંગ કોલેજ પર ધ્યાન આપ્યું છે. ગુજરાતમાં 11 યુનિવર્સિટી હતી, છેલ્લા દસ વર્ષમાં આ આંકડો 44 પર પહોંચ્યો છે. ગુજરાત પાસે સ્પોર્ટ, ફોરેન્સીક સાઇન્સ યુનિવર્સિટી છે.
મોદીએ કહ્યું કે 'અમે ક્યારેય એવું નથી કહ્યું કે મોદીના આવ્યા પહેલા અહીં કશું જ ન્હોતું, અમારી સરકાર આવી તે પહેલા અહી બધી જ વસ્તુઓ હતી. ત્યારે પણ કપાસની ખેતી થતી હતી. પરંતુ છેલ્લા 40 વર્ષના કાર્યકાળની સાથે છેલ્લા 12 વર્ષના કાર્યકાળની તુલના કરવામાં ત્યારે માલૂમ પડશે કે અમે વિકાસના નવા આયામો પૂરા પાડ્યા છે અને એ પણ દરેક વ્યક્તિને સાથે લઇને. અને હું ફરીથ કહું છું કે નરેન્દ્ર મોદીએ આ નથી કર્યું. આનો શ્રેય માત્રને માત્ર 6 કરોડ ગુજરાતીઓને જાય છે, જેમને ગુજરાત પ્રત્યે પ્રેમ છે. શું મોદીએ પતંગની શોધ કરી? શું મારા આવ્યા પહેલા ગીરમાં સિંહ ન્હોતા? શું મારા આવ્યા પહેલા ગુજરાત પાસે કોસ્ટલાઇન ન્હોતી? બધું જ હતું ત્યા પરંતુ યોગ્ય ટૂરિઝમ ન્હોતું. દુનિયા જગન્નાથ મંદિર જોવા આવતુ પંણ સોમનાથ નહીં. અમે અરબો ખરબો લગાવીને પરિસ્થિતિઓ બદલી નાખી છે. '
આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વીજળી ઉત્પાદનની વાત કરતા જણાવ્યું કે ગુજરાતના લોકોને 24 કલાક વીજળી મળી રહી છે, એવું ભારતના કોઇ રાજ્યમાં મળતી નથી. ગુજરાતના વિકાસ માટે કેગના રિપોર્ટે પણ અન્ય રાજ્યોને ગુજરાત મોડેલનો અભ્યાસ કરવા જણાવ્યું છે. ગુજરાતે 33 ટકા ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. ગુજરાત વિરોધી લોકો આની પર કહે છે કે તેઓ અન્ય રાજ્યો સાથે તુલના કેમ નથી કરતા. આતો માત્ર ગુજરાતનો જ આંકડો છે. મોદીએ કહ્યું કે તમારે ગુજરાતના વિકાસ વિશે વધુ જાણવું હોય તો યુપીએ સરકારે ગુજરાતને આપેલા પુરસ્કાર પર નજર ફેરવી જોજો.
મોદીએ ગુજરાત દિવસની ઉજવણી કરવા બદલ ગુજરાતી ભાઇ બહેનોનો આભાર માન્યો અને કહ્યું કે હું ખુશ છું કે આપ સૌ આ ગુજરાત દિવસની વૈશ્વિક ઉજવણી કરો છો. બાકી કોંગ્રેસના લોકોએ તો લાલદરવાજાના કિલ્લામાં બેસીને મહાગુજરાત ચળવળ દરમિયાન વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવડાવી હતી. જેમાં ઘણા વિદ્યાર્થીઓ શહીદ થયા હતા. હું તે શહીદોના સપના ક્યારેય નહીં ભૂલું.
મોદીએ અમેરિકામાં વસનારા ગુજરાતીઓને વૈશ્વિક સમુદાય તરીકે ગણાવ્યા જે બધાને સાથે લઇને ચાલે છે. તેમણે અમેરિકામાં વસતા ગુજરાતીઓને સંબોધીને કહ્યું કે તમે ગુજરાતને કે ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતા પરંતુ તમે તો આપણા કલ્ચરના એમ્બેસડર તરીકે અમેરિકાની શક્તિમાં વધારો કરી રહ્યા છો. તેમણે ડો. ભરત બરાઇ સાથે મળીને ત્રણ લોકોને એલિસ પુરસ્કાર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.
મધર ડેના અવસરે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે માતૃશક્તિને સલામ કરતા જણાવ્યું કે આપણી સંસ્કૃતિ ‘माता भूमि: पुत्रोऽहं पृथिव्याम्:' ના મંત્રને અનુસરીને ચાલનારી છે. જેનો અર્થ છે ભૂમિ એ મારી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું. એટલે આપણે આપણી પૃથ્વીને માતા તરીકે જોઇએ છીએ માટે તે આપણને વધું શક્તિ પૂરી પાડે છે. મોદીએ ગંગા નદીનું પણ ઉદાહરણ આપતા જણાવ્યું કે આપણે તેમાં કેટલું પોલ્યુશન કરીને બેઠા છીએ. જ્યારે બાળક માતાને હેરાનગતિ કરે ત્યારે ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિઓ સર્જાય છે. જ્યારે આપણે આ મંત્ર પ્રમાણે ચાલીશું અને આપણી પૃથ્વી માતાને માન આપીશું તો આવી સ્થિતિને ટાળી શકાશે. તેના પ્રત્યે માન આપણા ડીએનએમાં હોવું જ જોઇએ. પોતાના સંબોધન બાદ મોદીએ લોકોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.
મોદીએ પોતાના વક્તવ્યમાં શું કહ્યું સાંભળો વીડિયોમાં, અને જુઓ તસવીરો....
મોદી વિઝા વગર પહોંચ્યા યુએસ, સંબોધ્યા ગુજ્જુ ભાઇ-બહેનોને
મોદી વિઝા વગર પહોંચ્યા યુએસ, સંબોધ્યા ગુજ્જુ ભાઇ-બહેનોને
મોદી વિઝા વગર પહોંચ્યા યુએસ, સંબોધ્યા ગુજ્જુ ભાઇ-બહેનોને
મોદી વિઝા વગર પહોંચ્યા યુએસ, સંબોધ્યા ગુજ્જુ ભાઇ-બહેનોને