ગુજરાત હાઉસિંગ બોર્ડના નવા ડ્રો એક મહિનામાં : નીતિન પટેલ
ગાંધીનગર, 3 જુલાઇ : ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસો માટેના બહુચર્ચીત ડ્રો રદ કરીને નવેસરથી ડ્રો યોજવાના મુદ્દાનો પડધો બુધવારે ગુજરાત વિધાનસભામાં પડઘો પડયો હતો. આ મુદ્દે સરકારે નવો ડ્રો એક મહિનાની અંદર અને ચારેય મહાનગર માટે અલગ અલગ રીતે યોજવાની જાહેરાત કરી છે.
ગુજરાતના રોડ અને મકાન બાંધકામ ખાતાના પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર ગુજરાત હાઉસિંગ બોર્ડે બાંધેલા 8000થી વધારે ઘરો માટેનો નવો ડ્રો એક મહિનામાં જાહેર કરશે.
નોંધનીય છે કે ગત 15મી જૂનના રોજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં રાજકોટમાં રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં બોર્ડ દ્વારા બની રહેલ આવાસ માટેનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો યોજવામાં આવ્યો હતો. આ ડ્રોમાં છબરડો નોંધાતા સરકારે ડ્રો રદ્દ જાહેર કર્યો હતો અને સાથે જ નવેસરથી ડ્રો યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
આ સંદર્ભમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે ભાજપના વિધાનસભ્ય ભૂષણ ભટ્ટે કલમ 116 હેઠળ ‘શોર્ટ કોલ નોટિસ' રજૂ કરી હતી. જેમાં તેમણે ગુજરાતના ચાર મોટા શહેરોમાં જીએચબીના ઘરો માટેના ઓનલાઈન ડ્રોમાં થયેલા છબરડા વિશે સરકાર પાસે જવાબ માગ્યા હતા.
ડ્રોમાં થયેલા છબરડાને લીધે રાજ્યનાં મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને ગત 16 જૂને ડ્રોને રદ કરવાની ફરજ પડી હતી. સરકાર વતી નીતિન પટેલે ગૃહને ખાતરી આપી હતી કે નવો ડ્રો એક મહિનામાં બહાર પાડવામાં આવશે.
નીતિન પટેલે આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સરકારે 13 ડ્રો મારફત 1,07,218 ઘરોની ફાળવણી કરી દીધી છે, પણ કોઈ સમસ્યા ઊભી થઈ નથી. તાજેતરના ડ્રો વખતે આપણાં મુખ્ય પ્રધાનને ટેકનિકલ સમસ્યાની જાણ થઈ ત્યારે તેમણે તરત જ જાહેર જનતાના હિતમાં ડ્રો રદ કરાવ્યો હતો. આ વખતે સિંગલ ડ્રોને બદલે ચાર શહેરોમાં અલગ અલગ રીતે ડ્રો બહાર પાડવામાં આવશે.
વાસ્તવમાં એજન્સી દ્વારા યોગ્ય રેન્ડેમાઈઝેશન નહીં થવાથી પ્રાયોરીટી ડ્રોનું મુખ્ય લોજીક ચાલ્યુ ન હતું. તેથી ચડતા ક્રમમાં ગોઠવાયેલા ડેટાબેઝમાથી ઓ.એ. કોડવાળી ઓનલાઈન અરજી પી.એ. કોડવાળી ફીઝીકલ અરજી કરતા વધારે પસંદ થઈ હોવાની શકયતા છે.
આ ગરબડ અંગે લેવાયેલા પગલાં સંદર્ભમાં નીતિન પટેલે એમ પણ જણાવ્યું કે સોફટવેર ડેવલપર દેવ ઈન્ફોર્મેશન ટેકનોલોજી લી. દ્વારા કરવામાં આવેલ ગંભીર ક્ષતિને ધ્યાને લઈ તેનો વર્ક ઓર્ડર તાત્કાલીક અસરથી સ્થગિત કરાયો છે. કંપનીને બોર્ડની કામગીરી માટે 3 વર્ષ માટે ગેરલાયક કરવામાં આવે છે. બોર્ડની તરફેણમાં રૂપિયા 7,00,750ની પરફોર્મન્સ સીકયુરીટી વસુલાતનો હુકમ કરાયો છે. બોર્ડને થયેલા નુકસાનની વસુલાતનો અધિકાર અબાદિત રાખ્યો છે. સરકાર દ્વારા આઈટીની નવી કંપનીને કામગીરી સોંપવામાં આવી છે. એક મહિનામાં તે કામગીરી પુરી થતા નવેસરથી ડ્રો કરવામાં આવશે.