PM નરેન્દ્ર મોદી વતન ગુજરાતમાં વધારે સુરક્ષિત મહેસૂસ કરે છે?
અમદાવાદ, 17 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થતા હોય અને કોઇને તેની જાણ થયા વિના ના રહે તે માનવામાં આવતું નથી. પરંતુ હકીકત એ જ છે કે આજે સવારે પોતાના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માતા હીરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગર ખાતેના તેમના નિવાસ સ્થાન પહોંચ્યા હતા ત્યારે સિક્યુરીટીનો મોટો કાફલો સાથે લઇ જવાને બદલે માત્ર બે SUVમાં તેઓ પહોંચ્યા હતા.
આ દ્રશ્યને આંખે જોનારા ઘણાને આ બાબતનું આશ્ચર્ય તો ચોક્કસ થયું છે. કારણ કે તાજેતરના સમયમાં વડાપ્રધાન બન્યા બાદ કુખ્યાત આતંકવાદી જૂથના નિશાના પર મોદી રહે છે. પરંતુ જાણે પોતાના માદરે વતન ગુજરાતમાં આવીને તેમને વધુ સુરક્ષા અનુભવાતી હોય તેમ અત્યંત ઓછા સિક્યુરિટી સ્ટાફ સાથે તેઓ માતાને મળવા પહોંચી ગયા હતા.
બીજી મહત્વની બાબત એ છે કે તેઓ ઘરમાં અંદર જઇને મળવાને બદલે ઘરની ખુલ્લી ઓસરીમાં જઇને પોતાના માતા હીરાબાને મળી, તેમને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા.
નરેન્દ્ર મોદીએ માતાના આશીર્વાદ લેવા સહિતના તમામ પ્રક્રિયા લગભગ અડધો કલાક સુધીમાં પૂરી કરી હતી. ત્યાં સુધી તેઓ ખુલ્લામાં જ રહ્યા હતા. તેમની સાથે તેમના સુરક્ષા જવાનો તો ઓછા જ હતા પરંતુ ગુજરાત પોલીસના પણ મર્યાદિત જવાનો હતા. આ કારણે એમ કહી શકાય કે પોતાના વતનમાં આવીને મોદી સુરક્ષિત હોવાનો ભાવ અનુભવે છે.