ભાવનગર, 21 એપ્રિલ : વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયાએ ફરી આક્રમક નિવેદન કરી મુસ્લિમોને નિશાન બનાવ્યા છે. પ્રવીણ તોગડિયાએ મુસ્લિમોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે હિન્દુ વિસ્તારો છોડીને અન્યત્ર ચાલ્યા જાય.
ભાવનગરમાં શનિવારે રાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે મળી અહીનાં મુસ્લિમ ઉદ્યોગપતિના ઘર બહાર હોબાળો મચાવ્યો હતો. આ મુસ્લિમ ઉદ્યોગપતિએ હમણાં જ હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારમાં ઘર ખરીદ્યું હતું.
તોગડિયાએ કહ્યું કે હિન્દુ બહુમતી વિસ્તારોમાંથી મુસ્લિમ લોકોને હાંકી કાઢવા જોઈએ. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ આ ઘરના સોદાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આ ઉદ્યોગપતિને 48 કલાકમાં ઘર ખાલી કરવાની ધમકી આપી છે.
તોગડિયાએ એવી પણ ધમકી આપી છે કે જો ઘર ખાલી નહીં કરાય તો તેમની ઓફિસ પર પથ્થર, ટાયર અને ટમેટાં ફેંકાશે. તોગડિયાએ કાર્યકરોને ઘર પર કબજો લઈ તેની ઉપર બજરંગ દળનું બોર્ડ મારી દેવા જણાવ્યું. આ મુદ્દે પ્રવીણ તોગડિયાએ ફેરવી તોળવ્યું છે. તેમણે કહ્યું કે આવું કોઈ નિવેદન તેમણે કર્યું નથી.
જો કે પ્રાપ્ત માહિતી મુજબ તોગડિયાએ કાર્યકરોને જણાવ્યું છે કે 'હિંદુ વિસ્તારોમાં મુસ્લિમોને સંપત્તિ ખરીદતા રોકતા અટકાવવા જોઇએ. આ માટે બે રીત છે. પ્રથમ એ કે રાજ્ય સરકાર પર દબાણ બનાવીને ડિસ્ટર્બ એરિયા એક્ટ બનાવી આવા સોદાઓ પર પ્રતિબંધ લગાવે. બીજી રીત એ છે કે આવા ઘર (જે મુસ્લિમોએ ખરીદ્યા છે) પર કબ્જો કરી લેવામાં આવે અને વર્ષો વર્ષ કાયદાની લડાઇ લડવામાં આવે.'