પૂર સામે ચેતવણી આપતી રડાર બેઝ્ડ સિસ્ટમ 'DARMT' ભરૂચની નર્મદા નદી પર લગાવાઇ
ભરૂચ, 25 જુલાઇ : છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘરાજા જામ્યા છે. જેના કારણે મોટા ભાગની નદીઓમાં નવું પાણી આવ્યું છે. સામાન્ય રીતે દર ચોમાસામાં નર્મદા નદીમાં આવતા પુરના કારણે કાંઠા વિસ્તારોમાં તારાજીની સ્થિતિ સર્જાય છે. આ આફતને ટાળવા માટે ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ભરૂચમાં નર્મદા નદી ઉપર ડરમત (DARMAT - Disaster Alert and Resource Management by Application of Technology)નામની રડાર બેઝ સિસ્ટમ લગાવી છે. આ સિસ્ટમ ભરૂચવાસીઓને પાણી પહેલાં પાળ બાંધવાની સુચના આપશે.
નોંધનીય છે કે ગુજરાતભરમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે હવે ભરૂચમાં નર્મદા નદીમાં આવતા પુરની તંત્રને આગોતરી જાણ થઈ શકશે. ભરૂચમાં નર્મદા નદી ઉપર આવેલા ગોલ્ડન બ્રિજ પર ડરમત રડાર બેઝ સિસ્ટમ લગાવવામાં આવી છે.આ સિસ્ટમ નર્મદા નદીની વધતી જળ સપાટીની સુચના પૂરી પાડશે. વહીવટી તંત્રના દરેક અધિકારીઓ,કાંઠાના ગામોના સરપંચ અને પદાધિકારીઓને smsથી નદીની વધતી જળ સપાટીની સુચનાઓ હવે અગાઉથી મળી રહેશે. આ કારણે સમયસર ચેતવણી જાહેર કરી શકાશે.
ડરમત રડાર બેઝ વોટર લેવલ સેન્સર ઉપરાંત 8 તાલુકામાં વેધર સ્ટેશન ઉભા કરવામાં આવશે. જે એક ક્લિક કરતાની સાથે જ દરેક અધિકારી અને પદાધિકારીને ભરૂચમાં આવતા પૂરની માહિતી દર કલાકે પુરી પાડશે. રાજ્યમાં હાલમાં રાજકોટમાં આ ડરમત પ્રોજેક્ટ કાર્યરત છે. અંદાજે 35 લાખના ખર્ચે આકાર લેનારા બંને પ્રોજેક્ટ અંતર્ગત ગોલ્ડન બ્રિજ ખાતે ડરમત સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમ ગાંધીનગરમાં આવેલા BISAG (Bhaskaracharya Institute for Space Applications and Geo-informatics)ની મદદથી તૈયાર કરવામાં આવી છે.