વડોદરામાં ગણેશ યાત્રા પર પથ્થરમારો થતા ટેન્શન
વડોદરા, 28 ઓગસ્ટ : ગુજરાતના વડોદરા શહેરમાં બુધવારની મોડી રાતે ગણેશ યાત્રા પર પથ્થરમારો થતા અહીં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ગણેશ યાત્રા કાઢી રહેલા એક જૂથ પર બીજા જૂથે પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો. જેને પગલે બંને જૂથો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ કાબૂ કરવા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા.
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરા કહાર મહોલ્લાના યુવકો ગણપતિબાપ્પાની સવારી લઇને બાવામાનપુરા-એકતાનગર પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન પથ્થરમારો થતાં બંને કોમના જૂથો આમને-સામને આવી ગયા હતા.
તોફાન મચાવતાં ટોળાએ રોડ પરની ખાણી-પાણીની લારીઓ ઉંધીવાળીને તેને આગ ચાંપી દીધી હતી. આ સાથે ખાનગી તેમજ પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલિસે પરિસ્થિતિ પર કાબુ મેળવાવનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં એક મહિલાને ઈજા થઈ હતી.