ગુજરાતના CM દ્વારા ઉદઘાટનના બે દિવસમાં જ સાયફન કેનાલમાં ગાબડું
પાટણ, 16 ઓગસ્ટ : ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ઉદઘાટન કરાયાના બે જ દિવસમાં કચ્છમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝાઝમ ગામ પાસે બનાવવામાં આવેલી નર્મદા કેનાલ નેટવર્કની સાયફન કેનાલમાં ગાબડું પડ્યું છે.
ગુજરાતમાં બનેલી વિશ્વમાં સૌથી મોટી સાયફન કેનાલની 5 ખાસ વાતો
આ અંગે સર્કલ ઓફિસર એચ એસ જોબનપુત્રાએ જણાવ્યું કે 'સાયફન કેનાલમાં પાતળી તિરાડ બાદ ગાબડું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ગાબડું રવિવાર સાંજ સુધીમાં પુરી દેવામાં આવશે. પાણી કેનાલમાંથી બહાર વહી જવાને કારણે કેનાલ પાસેના બે ખેતરમાં પાણી ભરાઇ ગયા હતા.'
સાયફન કેનાલમાં પડેલા ગાબડાને પુરવા માટે એન્જિનીયર્સની ટીમ કાર્યરત છે. આ ગાબડાને કારણે આસ પાસના ખેતરોમાં કોઇ નુકસાન થયું નથી. ગાબડાના સમારકામ માટે 4 જેસીબી મશીન અને એક સીમેન્ટ ગ્રાઉટિંગ મશીન મોકલી દેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે અંદાજે 2550 મીટરની સાયફન કેનાલ રૂપિયા 386 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. કચ્છ વિસ્તારમાં નર્મદા કેનાલના કુલ 357.185 કિલોમીટરના આયોજનમાંથી 82 કિલોમીટરનું કામ પૂરું થઇ ગયું છે. બાકીનું 144 કિલોમીટરની કેનાલનું કામ ડિસેમ્બર, 2014માં પૂરું કરી દેવામાં આવશે.