સુરતમાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો, બેના મોત, પાંચ દટાયાની ભીતી
સુરત, 10 જૂન : આજે સુરત શહેરમાં નિર્માણાધિન અઠવાલાઇન્સ બ્રીજનો એક ભાગ તૂટી પડતા બે લોકોના મોત થયા છે. જ્યારે બીજા પાંચ મજૂરો દટાયા હોવાની ભીતી સેવાઇ રહી છે.
આજે સવારે આઠ વાગ્યાના સુમારે ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્તાં પાંચેક મજૂરો દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. અંદાજે 600 ટન વજનનો બ્રિજનો ભાગ ઘડાકાભેર તૂટી પડ્યો હતો. ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.
કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા મજૂરોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યાં છે. જ્યારે ફાયર સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અને વધુ તપાસ હાથ ધરી છે.
નજરે જોનારા લોકોના કહ્યા પ્રમાણે સવારે આઠ વાગ્યે બ્રિજની નીચેના ભાગમાં લગાવવામાં આવેલા લોખંડના ટેકા ખોલવાની કામગીરી ચાલી રહી હતી. બે મજદૂરો ટેકના સ્ક્રૂ ખોલી રહ્યાં હતાં. તે દરમિયાન આ બ્રિજનો ભાગ ધરાશાયી થયો હતો.