દલબીર સુહાગ જ હશે નવા લશ્કરી વડા : અરૂણ જેટલી
નવી દિલ્હી, 11 જૂન : સરકારે આજે જણાવ્યું છે કે દેશના આગામી સેના પ્રમુખ પદ પર લેપ્ટનન્ટ જનરલ દલબીર સિંહ સુહાગની નિયુક્તિનો નિર્ણય અંતિમ છે. સૈન્ય દળો સાથે જોડાયેલા મુદ્દાઓને રાજકારણથી અલગ રાખવા જોઇએ.
રાજ્યસભામાં આજે રક્ષા મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે દેશમાં એવી પરંપરા રહી છે કે કેટલાક મુદ્દાઓ આંતળદળીય રાજકારણથી મુક્ત રાખવામાં આવે છે. આ જ કારણે પરિપક્વતાને જોતા લશ્કર સાથે જોડાયેલા મુદ્દાઓને રાજકારણથી અલગ રાખવા જોઇએ. આવા મુદ્દાઓને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સ્વરૂપે ઉઠાવવા જોઇએ નહીં.
આ પહેલા કોંગ્રેસના આનંદ શર્માએ જણાવ્યું હતું કે પૂર્વોત્તરના મામલાના રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને વિદેશ તથા પ્રવાસી ભારતીય મામલાના રાજ્યમંત્રી વી કે સિંહે કાલે ટ્વીટર પર એવા નિવેદનો આપ્યા હતા, જે સેના પ્રમુખની નિયુક્તિ સંબંધિત હતા. આમ કરવું યોગ્ય નથી.
આ અંગે અરૂણ જેટલીએ જણાવ્યું કે પહેલાની યુપીએ સરકારે કેટલાક સપ્તાહ પૂર્વે સેનના અધ્યક્ષની નિયુક્તિ કરી છે. વર્તમાન સરકાર નવા સેના પ્રમુખના પદે દલબીરસિંહ સુહાગની નિયુક્તિને અંતિમ નિર્ણય માને છે. સરકાર આ નિર્ણયનું સમર્થન કરે છે.
સિંહને બરખાસ્ત કરવાની માંગ કરતા શર્માએ જણાવ્યું કે એવી પરંપરા રહી છે કે સેનામાં નિયુક્તિ મુદ્દે કોઇ રાજકારણ રમવામાં આવતું નથી. એક મંત્રી તરફથી આ પ્રકારનું વક્તવ્ય આપવામાં આવે તે યોગ્ય નથી. વી કે સિંહને મંત્રી પદ પર રહેવું જોઇએ નહીં. તેમને બરખાસ્ત કરવા જોઇએ. આ સાધારણ નહીં પણ ગંભીર મુદ્દો છે.