ભારત-જાપાનના સંબંધોમાં નવી શરૂઆત, કરાર પર કર્યા હસ્તાક્ષર
ટોક્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'ભારત-જાપાન વચ્ચે સંબંધ વધુ ગાઢ થઇ ગયા છે. જાપાન આવવાનો અવસર પ્રાપ્ત કરીને મને ખુશી થઇ. આપણી વિદેશ નીતિમાં જાપાનની પ્રાથમિકતા રહેશે.' નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના વિકાસ અને પરિવર્તનમાં જાપાનની મહત્વપૂર્ણ ભૂમિકા હશે અને બંને દેશો સોશિયલ ગ્લોબલ પાર્ટનરશિપના આધાર પર આગળ વધશે.
ભારતના વડાપ્રધાને કહ્યું કે આગામી સમયમાં જાપાન બે લાખ 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જ્યારે જાપાની વડાપ્રધાન આબેએ કહ્યું કે ભારત અને જાપાનના સંબંધ ઐતિહાસિક છે અને નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસથી આ સંબંધ વધુ ગાઢ થઇ ગયો છે.
એશિયામાં જાપાન અને ભારતના મહત્વને રેખાંકિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું 'કહેવામાં આવે છે કે 21 સદી એશિયાની હશે પરંતુ આ 21મી સદીનું સ્વરૂપ કેવું હોય તેનું નિર્ધારણ કરવામાં ભારત-જાપાનની મહત્વપૂર્ણ ભૂમિકા હશે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હી અને ટોક્યો સંશોધન, પર્યાવરણ, વિજ્ઞાન અને આધારભૂત સંરચનાના ક્ષેત્રમાં આગળ વધશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશોના સાંસ્કૃતિક તથા આદ્યાત્મિક સંબંધો પર ભાર મૂક્યો.