પાકિસ્તાનની દગાખોરી સામે ભારતનો જવાબ : દ્વિપક્ષીય મંત્રણા રદ
નવી દિલ્હી, 18 ઓગસ્ટ : પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલી દગાખોરી અને યુદ્ધ વિરામ ભંગના પગલાંનો આક્રમક જવાબ આપતા ભારતે દ્વિપક્ષીય વાયાઘાટોનું આયોજન રદ કરવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય પાકિસ્તાનના હાઈ કમિશનર અબ્દુલ બાસિફે દિલ્હીમાં કાશ્મીરમાંથી અલગતાવાદી નેતાઓને મળવાનો નિર્ણય કરવાના સંદર્ભમાં લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના આ વલણ સામે લાલ આંખ કર્યા બાદ ભારતે પાકિસ્તાન સાથેની વિદેશ સચિવ સ્તરની વાયાઘાટોનો કાર્યક્રમ તરત જ રદ્દ કર્યો છે. આ વિદેશ સચિવ સ્તરની વાતચીત 25 ઓગસ્ટના રોજ ઈસ્લામાબાદમાં યોજાવાની હતી.
વિદેશ સચિવ સ્તરની વાતચીતને રદ્દ કર્યા બાદ ભારતે કહ્યું હતું કે ભારતના આંતરિક બાબતોમાં પાકિસ્તાનની દરમિયાનગીરીને કોઈપણ કિંમતે સાંખી લેવાશે નહીં. ભારતના આ પગલાં બાદ હુરીયત જુથે કહ્યું હતું કેહુરીયત કોન્ફ્રેન્સના ચેરમેન મીરવાઈઝ ઉમર ફારુકને 19મી ઓગસ્ટના દિવસે દિલ્હીમાં મંત્રણા માટે પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
એવા અહેવાલ પણ મળ્યા છે કે ભારતીય વિદેશ સચિવ સુજાતાસિંહે પાકિસ્તાનના હાઈ કમિશનરને માહિતી આપી છે કે, ઇસ્લામાબાદમાં 25મી ઓગસ્ટના દિવસે યોજાનારી સુચિત મંત્રણા રદ્દ કરી દેવાઈ છે. આ મામલા અંગે માહિતી આપતા વિદેશ મંત્રાલયમાં સત્તાવાર પ્રવક્તાએ કહ્યું હતું કે જ્યારે ગંભીર પ્રકારની પહેલ ભારત દ્વારા કરવામાં આવે છે ત્યારે પાકિસ્તાનના વલણથી સાબિત થાય છે કે તે બિલકુલ ગંભીર નથી.
હુરિયત નેતાઓને પાકિસ્તાન દ્વારા આમંત્રણ આપવાની બાબત જ પાકિસ્તાનની નિયત સામે પ્રશ્નો ઉભા કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે નરેન્દ્ર મોદી દ્વારા સંબંધો સુધારવાની વાત થઈ રહી છે. મોદીએ રચનાત્મક રાજદ્વારી વ્યવસ્થા ગોઠવી છે ત્યારે હુરીયત નેતાઓ આની અવગણના કરી રહ્યા છે.
પાકિસ્તાનના વિદેશ સચિવ અહેઝાદ અહમદ ચૌધરી અને ભારતના વિદેશ સચિવ સુજાતા સિંહ વચ્ચે 25 ઓગસ્ટના રોજ થનારી વાતચીત દરમિયાન જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની સુરક્ષાદળો દ્વારા યુદ્ધ વિરામના સતત કરવામાં આવી રહેલા ભંગનો મુદ્દો ઉઠાવવામાં આવનાર હતો.
નોંધનીય છે કે પાકિસ્તાને યુદ્ધ વિરામનો સતત ભંગ કર્યો છે. પાકિસ્તાને વર્ષ 2014માં અત્યાર સુધીમાં 48 વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. જ્યારે આઠમી ઓગસ્ટ બાદથી 11 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.