રેલ્વેએ ટ્રેનના ટાઇમ જાણવા નવી મોબાઇલ એપ્પ લોન્ચ કરી
નવી દિલ્હી, 24 એપ્રિલ : રેલવેના મુસાફરોને ટ્રેનના ટાઇમ જાણવા માટે વધારે દોડભાગ નહીં કરવા પડે. આ માટે રેલવે દ્વારા નવી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. હવે કોઈ ચોક્કસ ટ્રેન કેટલા વાગ્યે આવી પહોંચશે કે રવાના થશે તે સમય અંગેની જાણકારી તેમના મોબાઈલ ફોન પર મેળવી શકશે. ઉપરાંત ટ્રેનની સ્થિતિ વિશેની માહિતી પણ રીયલ ટાઈમ બેઝિસ પર મેળવી શકાશે.
ભારતીય રેલવેના ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી વિભાગ સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ દ્વારા નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેનો ઉપયોગ ટ્રેનના ટાઈમિંગ્સ સહિત અનેક પ્રકારની પૂછતાછ માટે કરી શકાશે.
રેલવેની આ એપમાં સ્પોટ યોર ટ્રેન, ટ્રેન શેડ્યૂલ, ટ્રેન્સ બીટવીન સ્ટેશન્સ, કેન્સલ્ડ ટ્રેન્સના વિકલ્પો છે. તેમાં ‘રદ કરાયેલી ટ્રેનો'ના વિકલ્પમાં રદ કરાયેલી તમામ ટ્રેનોના નામ નંબર ડિસ્પ્લે થાય છે. આ ઉપરાંત રીશેડ્યૂલ કરાયેલી અને ડાઈવર્ટ કરાયેલી ટ્રેનો વિશેની પણ જાણકારી મળે છે.
હાલ તો આ એપ વિન્ડોઝ 8.0 ફોન માટે લોન્ચ કરાઈ છે અને ટૂંક સમયમાં જ અન્ય મોબાઈલ પ્લેટફૉર્મ્સ માટે પણ ડેવેલપ કરાશે. હવે રેલવેએ મોબાઈલ એપ અને વિન્ડોઝ 8 પ્લેટફૉર્મ પર માઈક્રોસોફ્ટના સપોર્ટ સાથે ડેસ્કટોપ એપ્લિકેશન ડેવેલપ કરીને પૂછતાછની સિસ્ટમનો વ્યાપ વધાર્યો છે.
નેશનલ ટ્રેન ઈન્ક્વાયરી સિસ્ટમ રેલવેની બેક-એન્ડ સિસ્ટમ છે જે જાહેર જનતાને અનેક ઈન્ટરફેસ મારફત રીયલ ટાઈમ બેઝિસ પર ટ્રેનોના સમયપત્રક વિશે જાણકારી આપે છે, જેમ કે રાષ્ટ્રીય સ્તરે રેલ ઈન્ક્વાયરી નંબર 139, વેબસાઈટ (www.trainenquiry.com), મોબાઈલ ઈન્ટરફેસીસ, ટચ સ્ક્રીન્સ, સ્ટેશનો પર એન્ક્વાયરી કાઉન્ટર અને ડિસ્પ્લે બોર્ડ.