કાત્જૂના ખુલાસા બાદ રાજકીય બબાલ, જાણો કોણે શું કહ્યું..
નવી દિલ્હી, 22 જુલાઇ: સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાત્જૂએ યુપીએ સરકાર દરમિયાન એક જજ પર ભ્રષ્ટાચારના આરોપો છતાં તેમને મદ્રાસ હાઇકોર્ટના જજ બનાવવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દા પર સોમવારે સંસદના બંને ગૃહોમાં જોરદાર હોબાળો થયો અને આ વિષય પર ચર્ચાની માંગ પણ ઊઠી.
પૂર્વ કાયદા મંત્રી હંસરાજ ભારદ્વાજે જજના કાર્યકાળને વધારવા માટે ચીફ જસ્ટિસને પત્ર લખવાની વાત તો માની, પરંતુ કાત્જૂ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને પ્રેસ કાઉંસિલના ચેરમેન માર્કંડેય કાત્જૂએ મદ્રાસ હાઇકોર્ટના એક જજની નિમણૂંકના હવાલાથી ન્યાયપાલિકામાં ભારે ભ્રષ્ટાચારની તસવીર રજૂ કરી છે. તેમનો આર્ટીકલ અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયો હતો. જેમાં કાત્જૂએ લખ્યું હતું કે મદ્રાસ હાઇકોર્ટના એક જજ ભ્રષ્ટાચારના તમામ આરોપો હોવા છતા પોતાના પદ પર બની રહ્યો પરંતુ હાઇકોર્ટમાં એડિશનલ જજ પણ બન્યો અને બાદમાં તેને સ્થાઇ નિમણૂંક પણ મળી ગઇ.
કાત્જૂના આ ખુલાસાથી દેશના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. આવો જાણીએ કાત્જૂના ખુલાસા પર નેતાઓ પ્રતિક્રિયા....
અન્નાદ્રમુકનો હોબાળો:
રાજ્યસભામાં પ્રશ્નકાળ શરૂ થવા પર કાત્જૂના હવાલાથી પ્રકાશિત રિપોર્ટને લઇને અન્નાદ્રમુક સભ્યોએ હંમાગો કર્યો. તેમણે પ્રશ્નકાળ રદ કરવા અને જજોની નિમણૂંકમાં રાજનૈતિક હસ્તક્ષેપના મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી. સભ્યોએ પૂછ્યું કે શું પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને જજ પર લાગેલા આરોપની જાણકારી હતી. શું સરકારની સહયોગી દ્રમુકે જજના પ્રમોશન માટે દબાણ નાખ્યું હતું. આ હોબાળાને પગલે સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
ભારદ્વાજે પત્ર લખી કબુલ્યુ:
પૂર્વ કાયદા મંત્રી ભારદ્વાજે માન્યુ કે તમિલનાડુના એક જજના કાર્યકાળમાં વધારો કરવા માટે તેમણે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો. એવું તેમણે યુપીએના સહયોગી દળ ડીએમકેના કહેવા પર કર્યું હતું.
કાત્જૂના આરોપો ખોટા ઠેરવ્યા:
ભારદ્વાજે જણાવ્યું કે કાર્યકાળમાં વિસ્તાર પ્રક્રિયા હેઠળ જ થયું. અમારી પર કોઇ દબાણ ન્હોતું. ડીએમકે સાંસદોનું કહેવું હતું કે તે જજ પછાત જાતિમાંથી આવે છે માટે તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે. અમે ચીફ જસ્ટીસને લખ્યું કે તેમનો મામલો તપાસનો વિષય છે. ત્યાં સુધી તેમના કાર્યકાળમાં વધારો કરી દેવામાં આવે.
રાજીવ શુક્લા, કોંગ્રેસ
કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ જણાવ્યું કે કાત્જૂ આ મુદ્દાને અત્યારે શા માટે ઊઠાવી રહ્યા છે, હાલમાં તેનો કોઇ અર્થ નથી.
રાશીદ અલ્વી, કોંગ્રેસ
રાશીદ અલ્વીએ જણાવ્યું કે કાત્જૂ દ્વારા અત્યારે શા માટે આ ખુલાશો કરવામાં આવી રહ્યો છે તે મને સમજાતું નથી. એ સમયે આ ખુલાસો કર્યો હોત તો કઇ ફર્ક પડતો. કાત્જૂ આ બધુ માત્ર હાલની સરકારને લુભાવવા માટે કરી રહ્યા છે.