ભારતમાં સાસરી કરતાં રોડ પર સુરક્ષિત છે પરણિત મહિલાઓ
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર: ત્રણ વર્ષ પહેલાં પત્નીની હત્યાના કેસમાં પતિને મળેલી ઉંમર કેદની સજાને યથાવત રાખતાં દિલ્હી હાઇકોર્ટે જે કહ્યું તે વાત વિચારવા પર મજબૂર કરી દે છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે ભારતમાં પરણિત મહિલાઓ પોતાની સાસરીની તુલનામાં રોડ પર વધુ સુરક્ષિત છે. ન્યાયમૂર્તિ પ્રદિપ નંદરાજોગ અને ન્યાયમૂર્તિ મુક્તા ગુપ્તાની બેંચે પ્રદીપ નામના એક વ્યક્તિની અપીલ નકારી કાઢતાં આ ટિપ્પણી કરી છે. બેંચે કહ્યું કે આરોપી પ્રદીપનું ઘટનાસ્થળ પરથી ભાગવું તે દોષી હોવાનો પુરાવો છે.
હાઇકોર્ટ પહેલાં દિલ્હીની નીચલી કોર્ટે પ્રદીપને પોતાની પત્નીની હત્યા કરવાનો દોષી ગણાવ્યો હતો. તે સમયે બેંચે કહ્યું હતું કે કોઇ પરણિતાની પોતાના જ ઘરમાં હત્યા કરવામાં આવે છે અને તે સમયે તેના પતિની હાજરી સાબિત થઇ થાય છે તો કાનૂનન પતિની જવાબદારી છે કે તે આ કેસમાં સ્પષ્ટીકરણ આપે અને જો તે આમ ન કરી શકે તો પતિની વિરૂદ્ધ ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે.
કોર્ટે કહ્યું હતું કે ભારતમાં એ જોવા મળ્યું છે કે આપણા સમક્ષ હત્યાના કેસમાં દર 10મી અપીલ કરનાર દોષી આરોપી પતિ છે અને શિકાર પત્ની છે અને ગુનાનું સ્થળ સાસરી છે. કોર્ટે કહ્યું કે હત્યાના કેસમાં આપણી સામે આવનાર 10માંથી નવ અપીલ, જેના ગુનાનું સ્થળ ઘરથી બહાર છે અને તેમાં મૃતક વ્યક્તિ પુરૂષ છે. એવું લાગે છે કે ભારતમાં પરણિત મહિલાઓ પોતાની સાસરીની તુલનામાં રોડ પર વધુ સુરક્ષિત છે.