અમદાવાદ, 20 એપ્રિલ : ભારતીય જનતા પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગામી 24મી એપ્રિલે વારાણસી બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાના છે. આ તો એક સામાન્ય સમાચાર થયાં. ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી અમિત શાહે સાવ સામાન્ય અંદાજમાં આ જાહેરાત કરી અને બીજી અનેક બાબતો ઉપર સ્પષ્ટતાઓ કરી. જોકે વાત ઉપરછલ્લી રીતે જોઇએ, તો છે પણ સામાન્ય, કારણ કે દરેક ઉમેદવાર પોત-પોતાની બેઠકો ઉપરથી ઉમેદવારી પત્ર તો ભરવાનો જ છે. આ અગાઉ પણ અત્યાર સુધી 232 બેઠકો માટે જે તે ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી જ ચુક્યા છે કે જેમાં નરેન્દ્ર મોદી (વડોદરા), રાહુલ ગાંધી (અમેઠી) અને સોનિયા ગાંધી (રાયબરેલી) જેવા મોટા નેતાઓનો સમાવેશ થાય છે.
એમ તો હવે માત્ર છેલ્લા તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભરવાના બાકી છે કે જ્યાં 12મી મેના રોજ મતદાન થવાનું છે અને તેમાં વારાણસીનો પણ સમાવેશ થાય છે. આ તબક્કા માટેના ઉમેદવારી પત્રો ભરવાનું કામ ગત 17મી એપ્રિલથી જ શરૂ થઈ ચુક્યું છે અને અનેક ઉમેદવારોએ નૉમિનેશન ફાઇલ પણ કરી દીધું હશે, પરંતુ નરેન્દ્ર મોદી છેક 24 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાનાં છે કે જે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. આ મુદ્દામાં મહત્વની બાબત એ નથી કે મોદી છેક છેલ્લા દિવસે વારાણસી માટે ઉમેદવારી પત્ર ભરવાનાં છે. અહીં મહત્વની બાબત એ છે કે મોદીએ ઉમેદવારી પત્ર ભરવા માટે 24 તારીખની પસંદગી કેમ કરી?
નરેન્દ્ર મોદી રાજકારણના ચાણક્ય ગણાય છે અને એટલે જ તો તેઓ સામાન્ય સંઘ સ્વયંસેવક અને ભાજપ કાર્યકરમાંથી મુખ્યમંત્રીના હોદ્દા સુધી પહોંચ્યા અને આજે ભાવિ વડાપ્રધાન તરીકે જોવાય છે. ચોવીસની ચૉઇસ પાછળ પણ નરેન્દ્ર મોદીની ચાણક્ય નીતિએ જ કામ કર્યું છે. નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરવા માટે 20મી એપ્રિલ રવિવાર રજાનો દિવસ પણ પસંદ કરી શક્યાં હોત કે જેથી વધુમાં વધુ લોકો તેમના કાફલામાં જોડાઈ શક્યા હોત, પરંતુ મોદીએ ચોવીસની જ પસંદગી કરતા મનમાં પ્રશ્ન ઊભો થયો અને વિચક્ષણ રીતે વિચારતા ઉત્તર પણ જડી જ ગયો.
ચાલો હવે આપને ઉત્તર પણ જણાવી જ દઉં. 24 એપ્રિલનો દિવસ લોકસભા ચૂંટણી 2014 માટે મહત્વનો દિવસ છે. લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં પાંચ તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે કે જેમાં પહેલા તબક્કામાં 6, બીજામાં 7, ત્રીજામાં 92, ચોથામાં 5 અને પાંચમા તબક્કામાં 122 બેઠકોનો સમાવેશ થાય છે. સૌથી વધુ 122 બેઠકો માટે મતદાન પાંચમા તબક્કામાં ગત 17મી એપ્રિલ ગુરુવારના રોજ થયું અને હવે જે છઠ્ઠો તબક્કો છે, તે પાંચમા બાદ બીજો સૌથી મહત્વનો તબક્કો છે કે જેમાં 117 બેઠકો માટે મતદાન થવાનું છે અને આ તબક્કો છે 24મી એપ્રિલ ગુરુવારના દિવસે.
હવે કંઇક સમજાય છે કે નરેન્દ્ર મોદીએ ચોવીસની ચૉઇસ કેમ કરી? હજીય ન સમજાયું હોય તો ચાલો સ્લાઇડર સાથે સમજીએ :
મીડિયામાં મોદી જ મોદી
નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય અને સૌથી ચર્ચિત રાજકારણી છે અને તેમની નાનામાં નાની હરકતની પણ મીડિયામાં અને તેમના ટેકેદારો તેમજ વિરોધીઓ દ્વારા નોંધ લેવાતી હોય છે. જોકે ગત ડિસેમ્બર-2013માં અચાનક આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ ઉપસી આવતાં મોદીની ચર્ચાઓ થોડીક થંભી ગઈ હતી, પરંતુ ફરીથી મોદી છવાઈ ગયાં છે.
નામાંકન બનશે ઇવેંટ
નરેન્દ્ર મોદીએ 24મી એપ્રિલના રોજ વારાણસી ખાતેથી ઉમેદવારી પત્ર ભરવાનો નિર્ણય કર્યો. જો તેમની નાનામાં નાની હરકતની નોંધ લેવાતી હોય, તો ઉમેદવારી પત્ર ભરવા જેવા મોટા શિડ્યુઅલને મીડિયા અવગણી નહીં શકે. મીડિયાએ વડોદરામાંથી જ્યારે મોદીએ ઉમેદવારી પત્ર ભર્યો, ત્યારે પણ લાઇવ કવરેજ દર્શાવી હતી અને દિવસ ભર તેની ઉપર ચર્ચાઓ ચાલી હતી.
લાઇવ કવરેજ
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે 24મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાના નિર્ણયમાં મોદીએ કઈ ચાણક્ય-ચાલ ચાલી. ચોવીસની ચૉઇસ પાછળ સૌથી મુખ્ય કારણ છે તે દિવસે થનાર દેશની 117 બેઠકો માટેનું મતદાન. નરેન્દ્ર મોદી અને ભાજપ બંને જાણે છે કે એ જ દિવસે જો મોદી ઉમેદવારી પત્ર ભરવા જશે, તો તે આખા ઇવેંટને લાઇવ કવરેજ મળશે અને મીડિયામાં ચારેબાજુ તેમની જ ચર્ચા રહેશે.
ચોવીસમીએ મહત્વનો તબક્કો
ચોવીસમી એપ્રિલે દેશની જે 117 બેઠકો માટે મતદાન થવાનું છે, તેમાં ભાજપ માટે મહત્વના રાજ્યો અને બેઠકો છે. ભાજપે આમાંની મોટાભાગની બેઠકો મેળવવી જરૂરી છે, કારણ કે આ એવા વિસ્તારો છે કે જ્યાં કથિત રીતે મોદીની લહેર છે. તેમાં બિહારમાં 7, છત્તીસગઢમાં 7, ઝારખંડમાં 4, મધ્ય પ્રદેશમાં 10, મહારાષ્ટ્રમાં 17, રાજસ્થાનમાં 5 અને ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો છે. આમ આ 50 બેઠકો ઉપર મોદીના ઉમેદવારી પત્ર ભરવાની સીધી અસર થશે.
ઉત્તર પ્રદેશમાં પણ મતદાન
રેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તા હાસલ કરવા માટે મુખ્ય આધાર ઉત્તર પ્રદેશ ઉપર રાખ્યો છે અને 24મી એપ્રિલના રોજ ત્યાં 10 બેઠકો ઉપર મતદાન થવાનું છે. આમ 24મીએ મોદીનું ઉત્તર પ્રદેશમાં હોવું પણ ત્યાંની 10 બેઠકો ઉપર મતદાન ઉપર ભાજપ તરફી અસર જરૂર કરશે.
દૂર સુધી મોદી લહેર
ઉપરાંત 24મી એપ્રિલના રોજ એવા રાજ્યોમાં પણ મતદાન છે કે જ્યાં મોદીની લહેર તો નથી, પરંતુ ત્યાંના લોકોની પણ દેશના વડાપ્રધાન તરીકે મોદી જ પહેલી પસંદગી છે. તેવા રાજ્યોમાં આસામમાં 6, જમ્મૂ-કાશ્મીરમાં 1, પુડ્ડુચેરીમાં 1, તામિળનાડુમાં 39 તથા પશ્ચિમ બંગાળમાં 5 બેઠકો માટે મતદાન થવાનું છે. 24મીએ મોદી મીડિયામાં છવાયેલા રહેશે, તો તેની સીધી અસર આ રાજ્યોમાં પણ પડશે કે જેથી ત્યાં ભાજપના મતોમાં વધારો થઈ શકશે.