બાપુના જન્મદિવસથી શરૂ થશે મોદીનું 'સ્વચ્છ ભારત'!
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતને લોક આંદોલન બનાવવા અને તેમાં વધારે ભાગીદારી વધારવા માટે તેને આર્થિક ગતિવિધિ સાથે જોડવાની અપીલ કરી છે. વડાપ્રધાને એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા જણાવ્યું કે આ કાર્યક્રમમાં તમામ સરકારી વિભાગ પણ સક્રિય ભાગ લેશે. પંચાયત સ્તરના સરકારી કાર્યાલય સ્વચ્છતા અભિયાનમાં સામેલ થશે જે 25 સપ્ટેમ્બરથી દિવાળી સુધી એટલે કે 23 ઓક્ટોબર સુધી ચાલશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વરિષ્ઠ મંત્રીઓની સાથે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત માટે બેઠક કરી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, વેંકૈયા નાયડૂ અને નિતિન ગડકરી ઉપરાંત અન્ય ઘણા અધિકારીઓ હાજર રહ્યા. મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં વધારે ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તેને આર્થિક ગતિવિધિઓ સાથે જોડવાની અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સફાઇ ખૂબ જ જરૂરી છે.
આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે સ્વચ્છતાનું અભિયાન એક આર્થિક ગતિવિધિ, જી.ડી.પી વધારામાં યોગદાન, સ્વાસ્થ્ય દેખભાળમાં ખર્ચમાં ઊણપ અને રોજગારનું સ્રોત હોઇ શકે છે. વડાપ્રધાન અનુસાર જો લોકો દિવાળી પર દરેક વર્ષે પોતાના ધરોની સફાઇ કરી શકતા હોય તો તેનો વિસ્તાર સ્વચ્છ ભારત અભિયાન તરીકે કેમ ના કરી શકાય. આ અભિયાનની શરૂઆત મહાત્મા ગાંધીના જન્મદિવસ 2 ઓક્ટોબરથી કરવામાં આવશે. જે હેઠળ વર્ષ 2019 સુધી વડાપ્રધાનના સ્વચ્છ ભારતના નિર્માણના સંકલ્પને પૂરું કરી શકાય.