નવી દિલ્હી, 17 એપ્રિલ : ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે નિશાન તાકતા કેન્દ્રીય નાણા પ્રધાન પી ચિદમ્બરમે ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રીને આદતથી જુઠ્ઠા ગણાવ્યા હતા.
ચિદમ્બરમે પત્રકારોને જણાવ્યું હતું કે 'મોદી આદતથી જુઠ્ઠા છે. શિવગંગામાં કોઇ રિ કાઉન્ટિંગ થયું ન હતું. મોદી આ વાતને જાણે છે છતાં ખોટું બોલી રહ્યા છે. મોદીએ મને રિ કાઉન્ટિંગ મિનિસ્ટર કહેવાનું ચાલુ રાખ્યું તો હું પણ તેમને એન્કાઉન્ટર મિનિસ્ટર કહી શકું છું.'
ચિદમ્બરમે મોદીના સંદર્ભમાં કરેલો કટાક્ષ ચૂંટણી સમયે વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોને ફરીથી આગ ચાંપવાનો છે. આ દ્વારા ભાજપના ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી અને ગુજરાતના તત્કાલિન ગૃહ મંત્રી અમિત શાહ તરફ પણ નિર્દેશ કરે છે.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં યોજેલી ચૂંટણી રેલીઓમાં અનેકવાર એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે ચિદમ્બરમ વર્ષ 2009ની લોકસભા ચૂંટણીઓ દરમિયાન શિવગાંગા બેઠક પરથી ખૂબ ઓછા માર્જિનથી જીત્યા હતા. આ સંદર્ભે એક કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
સાત વાર શિવગંગા સંસદીય મતવિસ્તારમાંથી સાંસદ રહી ચૂકેલા પી ચિદમ્બરમ વર્ષ 2009ની લોકસભા ચૂંટણીઓ માત્ર 3500 મતોથી જીત્યા હતા. તેમના નજીકના પ્રતિસ્પર્ધી અન્નાદ્રમુકના આર એસ કન્નપ્પમે મદ્રાસ હાઇકોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે સરકારી અધિકારીઓએ પક્ષપાત પૂર્ણ રીતે તેમને મળેલા મતો કોંગ્રેસના નેતા (ચિદમ્બરમ)ના ખાતામાં જોડી દીધા હતા.