નવી દિલ્હી, 31 માર્ચ : આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર પર આક્ષેપ કર્યો છે કે નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ફાયદો કરાવી આપવા માટે કેન્દ્રને ગેસના ભાવમાં ત્રણ ગણો વધારો કરી આપવા લેખિત વિનંતી કરી હતી.
દિલ્હીમાં રવિવારે એક રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે કેન્દ્રને ગેસના ભાવ વધારી આપવા બાબતનો એક પત્ર નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લખ્યો હતો.
આ પત્ર લખવાનો હેતુ ગેસના ભાવોમાં ત્રણ ગણો વધારો કરી આપવાની વિનંતીનો હતો. જેનો સીધો લાભ તેલના કૂવા ધરાવતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને મળે તેવો છે. જો ગેસના ભાવ વધે તો ખાતરના ભાવ પણ વધે. જેની સીધી અસર ફુગાવા પર થાય અને તેનો સીધો લાભ મુકેશ અંબાણીને મળે.
તેઓ આપના ઉમેદવાર ગુલ પનાગના પ્રચાર માટે યોજાયેલી રેલીમાં આમ બોલી રહ્યા હતા. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને કોંગ્રેસ બંને અંબાણી માટે કામ કરે છે. રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બંને પ્રચાર માટે અંબાણીનું એરક્રાફ્ટ વાપરે છે. જેથી તેમને લાભ કરાવે છે.