વારાણસી, 21 એપ્રિલ : કોમી એકતા દળના નેતા અને જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીના મોટા ભાઇ અફઝલ અંસારીએ પોતાનું સમર્થન નરેન્દ્ર મોદીને જાહેર કર્યું છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે ભાજપના પીએમ પદના ઉમેદવારના શાસનમાં મુસ્લિમો સલમત રહેશે.
સપાના પૂર્વ સાંસદ અફઝલ અંસારીએ આ વાત બાબતપુર એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં કહી હતી. તેમણે જણાવ્યું કે દેશને નરેન્દ્ર મોદીની જરૂર છે. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બનશે ત્યારે મુસ્લિમો સુરક્ષિત રહેશે. આ કારણે જ વારાણસીના મુસ્લિમો તેમને માટે વોટિંગ કરવા અંગે વિચારી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2002ના ગુજરાતના રમખાણો સમયે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ મોદીને રાજધર્મનું પાલન કરવા માટે જણાવ્યું હતું. રમખાણો બાદ મોદીએ તેનું પાલન કર્યું પરંતુ સપાના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ પોતાના દીકરા અને યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવને રાજધર્મનું પાલન કરવાની શીખ આપી શક્યા નહીં.
આ કારણે જ આપણે મુઝફ્ફરનગરના સૌથી ખરાબ રમખાણોનો સામનો કરવો પડ્યો. મુલાયમસિંહ મુસ્લિમો માટે ખતરનાક છે કારણ કે તેમનો માત્ર એક જ ટાર્ગેટ છે કે સમુદાયનો દુરુપયોગ કરવો. પરંતુ ઉત્તર પ્રદેશના મુસ્લિમો ખાસ કરીને વારાણસીમાં તેઓ સપાને સબક શીખવાડશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની 27 બેઠકોમાંથી ભાજપ 24 બેઠકો જીતશે. કોમી એકતા દલને બે અને એક બેઠક ભાજપને મળશે. બાકીની બેઠકો ભાજપના ખાતામાં જશે.