મોદી સરકાર મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરશે
નવી દિલ્હી, 5 જૂન : ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેના માર્ગ અકસ્માતમાં થયેલા નિધનને પગલે હવે કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતો અટકાવવા માટે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. નરેન્દ્ર મોદી સરકારે મોટર વ્હીકલ એક્ટમાં મોટાપાયે ફેરફાર કરતા માર્ગ અકસ્માતોને અટકાવવાની દિશામાં કટિબદ્ધતા દર્શાવી છે.
માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ ગુરુવારે બપોરે મંત્રીમંડળની બેઠકમાં માર્ગ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેબિનેટમાં આ મુદ્દે ચર્ચા પણ થઇ છે. ગડકરીના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર કાયદામાં ફેરફાર કરતા પહેલા છ દેશોના માર્ગવ્યવહારના કાયદાઓનો અભ્યાસ કરશે.
જે છ દેશોના માર્ગ વ્યવહાર કાયદોઓનો આભ્યાસ થવાનો છે તેવા દેશોમાં જાપાન, સિંગાપુર, કેનેડા જેવા દેશો સામેલ છે. ત્યાર બાદ ભારતમાં મોટર વ્હીકલ એક્ટનું નવું માળખું અમલમાં મૂકવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ રેડલાઇટને સર્વર સાથે જોડવામાં આવશે અને તેનું નિરીક્ષણ કરવામાં આવશે.
નવા નિયમો અંતર્ગત ત્રણ વાર લાઇટ જંપ કરનારનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની જોગવાઈ પણ સમાવિષ્ટ થશે. આ સાથે નિયમોનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવાશે.