નરેન્દ્ર મોદીએ ડચ વડાપ્રઘાન માર્ક રૂટને દિલસોજી પાઠવતો પત્ર લખ્યો
નવી દિલ્હી, 19 જુલાઇ : ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 18 જુલાઇ, 2014ના રોજ નેધરલેન્ડના ડચ વડાપ્રધાન માર્ક રૂટને પત્ર લખીને મલેશિયાના વિમાન દુર્ધટનામાં માર્યા ગયેલા હોલેન્ડના નાગરિકો અંગે દિલસોજી વ્યક્ત કરી હતી.
આ માટે નરેન્દ્ર મોદીએ રૂટને પત્ર લખ્યો હતો. જેમાં કહ્યું હતું કે 'યુક્રેનમાં મલેશિયન વિમાન દર્ઘટનામાં 300 લોકોના જીવ ગુમાવવાની દુ:ખદ ઘટના અંગે સાંભળીને હું સ્તબ્ધ અને ખુબ જ દુ:ખી થયો છું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા અડધાથી વધારે લોકો નેધરલેન્ડના નાગરિકો હતા, એટલે આ ઘટના આપના અને નેધરલેન્ડવાસીઓ માટે અત્યંત દુ:ખદાયી હશે. આ સમયે ભારતની જનતા આપના શોકમાં સહભાગી થઇને આપના શોકાકુળ પરિવાસો સાથે ઉભી છે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'જે લોકોએ સ્વજનો ગુમાવ્યા છે તેની ભરપાઇ કોઇ રીતે કરી શકાય તેમ નથી. હું આશા રાખું છું કે વિશ્વભરના લોકો દ્વારા થતી પ્રાર્થનાથી તેમને હિંમત અને સ્વસ્થ થવામાં મદદ મળશે.' મોદીએ આશા વ્યક્ત કરી છે કે આ ઘટનાના કારણો જલ્દી જાણવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા પ્રયત્ન કરવામાં આવશે.
નોંધનીય છે કે યુક્રેનના પૂર્વમાં આકાશમાં ઉડાન ભરી રહેલા મલેશિયા એરલાઇન્સના વિમાન બોઇંગ 777 એમએચ-17ને 17 જુલાઇ, 2014, ગુરુવારના રોજ 'બક' મિસાઇલથી નિશાન બનાવવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે રશિયા સમર્થક વિદ્રોહીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. વિમાનમાં સવાર માર્યા ગયેલા 298 મુસાફરોમાંથી 173 નેધરલેન્ડના હતા.