નવી દિલ્હી, 23 એપ્રિલ : ભારતમાં બદલાયેલા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો પ્રચાર માટે કન્સલ્ટન્સી કંપનીઓનો ઉપયોગ કરી રહ્યા છે. શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં રાજકીય પક્ષોના ચૂંટણીપ્રચારની વ્યૂહરચનાને મેનેજ કરવાનું કામ સંભાળતી કન્સલ્ટિંગ ફર્મ્સ લોકસભા ચૂંટણી 2014ની સીઝનમાં રૂપિયા 700થી 800 કરોડ કમાશે એવો એસોચેમના એક અભ્યાસનો અંદાજ છે.
મતદારો સુધી પહોંચવા માટે સોશ્યલ મીડિયા જેવાં નવાં ટૂલ્સ વિકસ્યાં હોવાને કારણે રાજકીય પક્ષો તેમના પ્રચારને મેનેજ કરવા સ્પેશ્યલાઇઝ્ડ ફર્મ્સની સેવા લઈ રહ્યા છે. મુંબઈ, દિલ્હી અને કલકત્તા જેવાં મોટાં શહેરોમાં જ નહીં, દ્વિતીય અને તૃતીય શ્રેણીનાં શહેરોમાં પણ રાજકીય પક્ષો આવી ફર્મ્સની સેવા લઈ રહ્યા છે.
આ અભ્યાસ અંગે એસોચેમના સેક્રેટરી જનરલ ડી એસ રાવતે કહ્યું હતું કે 'વોટ-શેર, વિનિંગ માર્જિન, વોટ કોન્સન્ટ્રેશન અને મતવિસ્તારની પ્રોફાઇલની માહિતીનો ઉપયોગ થઈ રહ્યો હોવાથી ચૂંટણી સંબંધી ડેટાનું વિશ્લેષણ મહત્વનું બની રહ્યું છે. વિજેતાઓ તેમની જીતને જાળવી રાખવા માટે અને હારેલાઓ ભાવિ વિજયની વ્યૂહરચના માટે આ માહિતીનું વૈજ્ઞાનિક ઢબે વિશ્લેષણ મેળવી રહ્યા છે.'
વર્તમાન સમયમાં દેશમાં નાની-મોટી આશરે 150 પોલિટિકલ કન્સલ્ટિંગ ફર્મ્સ છે અને આ ફર્મ્સ મતવિસ્તારદીઠ એકથી દોઢ લાખ રૂપિયાની ફી લઈ રહી છે. દેશમાં લોકસભાની કુલ 543 બેઠકો છે.
આ ફર્મ્સ મીડિયા પ્લાનિંગથી માંડીને માર્કેટિંગ, પ્રચાર સાહિત્યનું ડિઝાઇનિંગ, વેબસાઇટ્સ, સોશ્યલ મીડિયા પેજ અને પ્રતિસ્પર્ધી ઉમેદવારની જીતની સંભાવનાના વિશ્લેષણ સહિતની સેવા આપી રહી છે.