RLD વડા અજીત સિંહના સમર્થકોના હિંસક દેખાવો સામે લાઠીચાર્જ, 200 ઘવાયા
ગાઝિયાબાદ, 18 સપ્ટેમ્બર : આજે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના મુરાદનગરમાં રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)ના વડા અજીત સિંહના સમર્થકો અને ભારતીય કિસાન સંઘના કાર્યકરોએ પ્રદર્શન અને દેખાવો યોજ્યા હતા. આ દેખાવો હિંસક બનતા પોલીસે ભીડને વીખેરવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ પોલીસ કાર્યવાહીમાં 200 લોકો ઘવાયા છે. જેમાં ખેડૂતો અને પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે.
આરએલડી પાર્ટીના અધ્યક્ષ અને ભૂતપૂર્વ ઉડ્ડયન પ્રધાન અજીત સિંહને દિલ્હીમાં સરકારી બંગલો ખાલી કરવાની ફરજ પાડવા માટે તેમના તુઘલક રોડ સ્થિત નિવાસસ્થાને પાણી અને વીજળી પૂરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. આ સખત કાર્યવાહીના વિરોધમાં ઉક્ત બંને સંસ્થાના કાર્યકર્તાઓ આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
પ્રદર્શનકારીઓએ નેશનલ હાઈવે નંબર 58 પર ટ્રાફિક રોક્યો હતો અને દિલ્હીમાં સોનિયા વિહાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેનો પાણી પૂરવઠો ખોરવી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત પથ્થરમારો કરી રહેલા દેખાવકારો સાથેની અથડામણમાં વિજય નગર પોલીસ સ્ટેશનના અધિકારી અરૂણ કુમાર સિંહને ગંભીર ઈજા થઈ છે. એમને તત્કાળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
બેકાબૂ બનેલા પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસે રબરની બુલેટ છોડી હતી, પાણીનો મારો ચલાવ્યો હતો અને અશ્રુવાયુના સેલ પણ છોડ્યા હતા. આ દેખાવ કાર્યક્રમમાં આરએલડી પાર્ટીના નેતા વીરપાલ સિંહને ગોળી વાગી છે. તેમને સુવિદ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નાયબ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કે. સત્યનારાયણે દેખાવોનો અંત લાવવા માટે કિસાન સંઘના નેતાઓ સાથે વાતચીત કરી હતી. તુઘલક રોડ સ્થિત આ એ બંગલો છે જ્યાં સ્વ. ચૌધરી ચરણ સિંહ વડા પ્રધાન અને નાણાં પ્રધાન પદે હતા ત્યારે રહેતા હતા. ત્યારબાદ એમના પુત્ર અજીત સિંહે આ બંગલામાં રહેવાનું શરૂ કર્યું હતું.
આરએલડીના કાર્યકર્તાઓનું કહેવું છે કે ઈન્દિરા ગાંધી, લાલબહાદુર શાસ્ત્રી, કાંશી રામ અને જગજીવન રામના બંગલાઓની માફક આ બંગલાને પણ ચૌધરી ચરણ સિંહ સ્મારક કેન્દ્ર તરીકે ઘોષિત કરવો જોઈએ.