નવી દિલ્હી, 23 એપ્રિલ: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 12 રાજ્યોની 117 સીટો પર ગુરૂવારે મતદાન થશે. આ તબક્કામાં તમિલનાડુમાં 39, મહારાષ્ટ્રમાં 19, ઉત્તર પ્રદેશમાં 12, મધ્ય પ્રદેશમાં 10, બિહાર અને છત્તીસગઢમાં સાત-સાત, અસમ અને પશ્વિમ બંગાળમાં છ-છ, રાજસ્થાનમાં પાંચ, ઝારખંડમાં ચાર અને પોડેંચેરી તથા જમ્મૂ કાશ્મીરમાં એક-એક સીટ પર મતદાન કરવામાં આવશે.
આ તબક્કામાં કેન્દ્રિય મંત્રીઓ સલમાન ખુર્શીદ, મિલિંદ દેવડા, નમો નારાયણ મીણા, જિતેન્દ્ર સિંહ અને તારીક અનવર, લોકસભામાં વિપક્ષની નેતા સુષમા સ્વરાજ, રાકાંપા નેતા છગન ભુજબળ, સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત, હેમા માલિની અને પૂર્વ ક્રિકેટર મોહંમદ અજરૂદ્દીનના ભાગ્યનો ફેંસલો થવાનો છે.
તમિલનાડુની બધી જ 39 સીટો પર મતદાન થશે, જેમાં અન્નાદ્રમુક, ડીએમકે, ભાજપ, કોંગ્રેસ અને ડીએમડીકે સહિત અન્યના 800થી વધુ ઉમેદવારોની કિસ્મત ઇવીએમમાં બંધ થઇ જશે.
તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ઉમેદવારોના રાજકીય કદ, ખ્યાતિ અને પારિવારિક પ્રતિષ્ઠાની રીતે ઘણી મહત્વપૂર્ણ ગણવામાં આવતી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની 12 લોકસભા સીટો માટે ગુરૂવારે મતદાન થશે. પ્રદેશના પશ્વિમાંચલમાં ફેલાયેલી આ સીટો પર જ્યાં એક તરફ સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવના પરિવારની પ્રતિષ્ઠા દાવ પર છે, તો બીજી તરફ પોતાના સમયની સૌથી લોકપ્રિય હિરોઇન હેમા માલિનીની ચમક અને રાજકીય વાતોમાં પણ ફિલ્મી ડાયલોગ બોલનાર અમર સિંહની પણ પરીક્ષા થવાની છે.
એવા તો ત્રીજા તબક્કામાં મુલાયમ સિંહ ઉપરાંત ભાજપના નેતા કલ્યાણ સિંહ અને પૂર્વ વડાપ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહના રાજકીય ઘરાનામાં ચૂંટણી મેદાનમાં છે. જો કે 12માંથી છ સીટો પર ખાસ ફોકસ રહેવાનું છે. પ્રદેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ એકતરફ પોતાની પરંપરાગત મૈનપુરી સીટથી ચૂંટણી મેદાનમાં છે, તો બીજી તરફ તેમની પુત્રવધૂ અને મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ સમક્ષ કનૌજ સીટ બચાવી રાખવા અને ભત્રીજા અક્ષય યાદવ સમક્ષ ફિરોજાબાદથી પોતાના પ્રથમ ચૂંટણી જીતવાનો પડકાર છે.
બીજી તરફ મહારાષ્ટ્રની ચાર લોકસભા સીટવાળી થાણે જિલ્લામાં આવતીકાલે મતદાન થશે જ્યાં 73 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 67 ઉમેદવારોના ભાવિનો ફેંસલો અરશે. સૌથી વધુ ઉમેદવાર થાણે (26)માં અને સૌથી ઓછા પાલઘર (10) માં છે. કલ્યાણ અને ભિવંડીમાં ક્રમશ: 18 અને 13 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે.
રાજસ્થાનમાં ગુરૂવારે પાંચ સીટો માટે થનાર મતદાનની બધી જ તૈયારી પુરી થઇ ગઇ છે. રાજ્યમાં પાંચ સીટો પર થનાર મતદાનમાં રક્ષા રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ, કેન્દ્રિય નાણા રાજ્યમંત્રી નમો નારાયણ મીણા અને ભૂતપૂર્વ ક્રિકેટર મોહંમદ અજરૂદ્દીન સહિત 81 ઉમેદવારોની રાજકીય કિસ્મત ઇવીએમ મશીનમાં બંધ થઇ જશે.
જમ્મૂ-કાશ્મીરની અનંતનાગ લોકસભા સીટ પર પણ આવતીકાલે મતદાન થશે. જ્યાં નેશનલ કોંફ્રેસના મહબૂબ બેગ અને વિપક્ષી પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તી સહિત 12 ઉમેદવારોની કિસ્મતનો ફેંસલો થશે.