બાંદા, 23 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે આજે દેશની હાલની સ્થિતી પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે વર્તમાન સ્થિતીમાં દેશ ચલાવવા માટે 'સિંહ જેવું કાળજું' જોઇએ.
રાજનાથ સિંહે બુંદેલખંડના અતર્રામાં આયોજિત ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે 'આજે આપણો દેશ ગોટાળાનો દેશ બની ગયો છે. જે તરફ જોઇએ તે તરફ ગોટાળા જોવા મળે છે. સીએજીના રિપોર્ટ અનુસાર કોંગ્રેસના શાસનમાં પાંચ લાખ કરોડ રૂપિયાના ગોટાળા થયા છે. હવે તો 'જીજા ગોટાળા' પણ સામે આવ્યા છે. આજે જે સ્થિતી છે તેમાં દેશને ચલાવવા માટે સિંહ જેવું કાળજું જોઇએ. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે લાંબા સમય સુધી દેશ પર શાસન કર્યા બાદ પણ આ પાર્ટી બેરોજગારી અને મોંઘવારીને ખતમ કરી શકી નથી, પરંતુ એટલા બધા ગોટાળા કર્યા છે કે તેનાથી મોંઘવારી વધી ગઇ છે.
રાજનાથ સિંહે આ આશયમાં સપા અને બસપાને પણ નિશાના પર લેતાં કહ્યું કે આ બંને પાર્ટીઓ કોંગ્રેસનું સમર્થન કરીને પોતાના ખિસ્સા ભરી રહી છે. ભાજપના અધ્યક્ષે કહ્યું કે 'જો દેશમાં અમારી પાર્ટીની સરકાર આવશે તો અમે દરેક જવાનને નોકરી તો નહી આપી શકીએ પરંતુ બધાને તાલીમ આપીને એવા હુન્નરમંદ બનાવી દઇશું કે બેંકો પાસેથી ઓછા વ્યાજે લોન લઇને પોતાનો ધંધો કરીને ગુજરાન ચલાવી શકશે.'
તેમણે કહ્યું કે ભાજપની સરકાર આવતાં મોટરવહનોની જેમ ખેડૂતોના પાકનો વિમો કરવામાં આવશે અને નદીઓ સાથે જોડવામાં આવશે જેથી ખેડૂતોની જમીન અસિંચિત ન રહે. રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશમાં સત્તારૂઢ સપાને આડે હાથ લેતાં કહ્યું કે પ્રદેશમાં જંગલરાજ છે અને અહીં પોલીસ ભેંસોને શોધવામાં લાગેલી રહે છે.