ભારત રત્ન પર રાજકારણ શરૂ, કોંગ્રેસે આગળ કર્યા ઘણા અન્ય નામો
નવી દિલ્હી, 11 ઓગષ્ટ: વરિષ્ઠ ભાજપ નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇ અને નેતાજી સુભાષ ચંદ્ર બોસ સહિત પાંચને ભારત રત્ન આપવાની અટકળો પર રાજકારણ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસે ભારત રત્નની આ સૂચિ પર સવાલ ઊઠાવતા પોતાના તરફથી પણ ઘણા મહાપુરુષોના નામ આગળ વધાર્યા છે. તેમાં કોંગ્રેસના સંસ્થાપક સભ્ય રહી ચૂકેલા એઓ હ્યૂમના નામનો પણ સમાવેશ કર્યો છે.
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ટ્વીટ કરીને આ નામોને સૂચવ્યા છે. તેમણે લખ્યું છે કે જો સરકાર ભારત રત્ન આપવાના નિર્ણય પર આગળ વધી રહી છે તો તેને બીજા અન્ય નામો પર પણ વિચાર કરવો જોઇએ. તેમણે તેમાં ભગત સિંહ, રાજગુરુ, સુખદેવ, લાલા લજપત રાય, રાસ બિહારી બોસ, જનરલ મોહન સિંહ, એની બેસેંટ, એઓ હ્યુમ, ગોપાલ કૃષ્ણ ગોખલેના નામનું સૂચન કર્યું.
જોકે કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ મનીષ તિવારીના આ ટ્વીટ પર જણાવ્યું કે આ તેમનું અંગત મંતવ્ય છે. તેમણે જણાવ્યું કે નામોની ઔપચારિક જાહેરાત બાદ તેની પર પ્રતિક્રિયા આપવામાં આવશે.
નેતાજીને ભારત રત્ન પર તૃણમૂલની ધમકી ભારત રત્નના આ વિવાદમાં તૃણમૂલ કોંગ્રેસ પણ કૂદી પડી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુખેંદૂ શેખર રોયે મોદી સરકારને ચેતાવણી આપતા જણાવ્યું છે કે તેઓ ભારત રત્ન માટે નેતાજી સુભાષ ચંદ્ર બોસને અન્ય લોકોની સાથે રાખીને તેમનું કદ નાનું ના કરે. તેમણે જણાવ્યું કે જો નેતાજીને અન્ય નેતાઓની સાથે ભારત રત્ન આપવાની જાહેરાત કરી તો, તેઓ સંસદમાં તેનો વિરોધ કરશે.