ગોરખપુર, 27 માર્ચ: લોકસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદી તાબડતોડ રેલીઓ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી પર આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
યૂપી એટીએસે ગોરખપુરથી બે સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. બંનેને ગોરખપુરથી અયોધ્યા જતી વખતે દબોચી લીધા હતા. એટીએસની ધરપકડમાં આવેલા આ સંદિગ્ધ આતંકવાદીઓના નામ મુજમ્મિલ અને બરકત હોવાનું કહેવામાં આવે છે. બંને આત્મઘાતી આતંકવાદી પાકિસ્તાનના મુલ્તાનના રહેવાસી છે. શરૂઆતી પૂછપરછમાં બંનેને વારાણસીમાં આતંકી ઘટનાને અંજામ આપવાની વાત કબૂલી હતી.
એટીએસના સૂત્રોના અનુસાર આતંકવાદીઓ વારાણસીમાં આતંકી ઘટનાને અંજામ આપીને ચૂંટણીના વાતાવરણને બગાડવાનું કાવતરું રચી રહ્યાં હતા. એટીએસનું કહેવું છે કે પકડવામાં આવેલા બંને સંદિગ્ધ નેપાળના માર્ગે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ્યા હતા અને ગત એક અઠવાડિયાથી યૂપીના રક્સૌલમાં રહેતાં હતા. એટીએસની ટીમ તેમને સઘન પૂછપરછ કરી રહી છે.