
માલે, 5 માર્ચઃ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશીદની માલે સ્થિત તેમના નિવાસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે. નીચલી અદાલતે તેમના વિરુદ્ધ ત્રીજું વોરન્ટ જારી કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.
હાલની સરકારના પ્રવક્તા શાહુના અમીનાથે એક સમાચાર એજન્સીને જણાવ્યુ કે, થોડાક સમય પહેલાં જ રાજધાની માલેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ મોહમ્મદ નાશીદની ધરપકડ કરી છે.
મોહમ્મદ નાશીદ પર આરોપ છે કે તેમણે સેનાનો ઉપયોગ કરીને આપરાધિક અદાલતના મુખ્ય ન્યાયાધીશ અબ્દુલ્લા મોહમ્મદને ગેરકાયદે રીતે નજરબંધ રાખ્યા હતા.
બીજી તરફ મોહમ્મદ નાશીદે આ પગલાને પોતાના વિરુદ્ધનું રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે અને કહ્યું છે કે, એવો મામલો બનાવવામાં આવ્યો છે કે જેથી તે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકે નહીં.
મોહમ્મદ નાશીદ છેલ્લા બે વોરન્ટ દરમિયાન ધરપકડથી બચવા માટે ભારતીય દૂતાવાસમા શરણ લઇ ચૂક્યા હતા. નાશીદ 13 ફેબ્રુઆરીએ ભારતીય દૂતાવાસમાં રોકાયા હતા. 11 દિવસ સુધી ત્યાં રોકાયા બાદ ગત શુક્રવારે તેઓ પોતાના ઘરે ગયા હતા. જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી છે.











