વોશિંગ્ટન, 9 એપ્રિલઃ અમેરિકાના પ્રભાવશાળી સમાચારપત્ર ધ વોશિંગ્ટન પોસ્ટે કહ્યું છેકે, વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણી સોમવારથી શરૂ થઇ ગઇ છે. આ ચૂંટણીનો માહોલ જોઇને લાગી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સત્તાધિશ કોંગ્રેસ પાર્ટીને પરાજિત કરશે. છેલ્લા એક દશકાથી કોંગ્રેસની મનમોહન સરકારના રાજમાં દેશ ખાડામાં ગયું છે, ત્યારે નરેન્દ્ર મોદી દેશ માટે એક આશાનું કિરણ છે અને દેશને તેમની જરૂરત છે, જોકે આ સાથે સમાચારપત્રે મોદીને એક સલાહ પણ આપી છે અને કહ્યું છે કે તેમણે પોતાની પૂર્વાગ્રહવાળી બયાનબાજીના બદલે પોતાની સફળતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
મોદી દ્વારા જે વચનો આપવામાં આવ્યા છે. તેમને બહુમતિ મળવા પાછળનું કારણ તેમની ભ્રષ્ટાચારમુક્ત ઇકોનોમિક મેનેજમેન્ટનો રેકોર્ડ, પ્રેક્ટિકલ સાબિત થશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમણે છેલ્લા દશકામાં દેશના ગ્રોથ કરતા વધારે ગ્રોથ હાંસલ કર્યો છે, તેમના શાસનમાં ગુજરાતે 10 ટકા ગ્રોથ નોંધાવ્યો છે. તેમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ, બિઝનેસ ફ્રેન્ડલી પોલીસી અને ફોરેન કેપિટલની નીતિઓ પર તેમની સફળતા ટકેલી છે.
અન્ય એક વાત પર પણ સમાચારપત્રે ધ્યાન આપ્યું છેકે નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્ર સરકારનો ચાર્જ સંભાળવામાં આવશે તેનાથી ભારતીય સ્ટોક માર્કેટ અને રૂપિયામાં સુધારો જોવા મળશે તથા વિદેશી રોકાણમાં પણ તેજી જોવા મળી શકે છે. દેશને તેમણે જે વાયદારૂપી દવાઓની ઓફર કરી છે તેની નિશ્ચિતપણે જરૂર છે. હાલ દેશનો ગ્રોથ 5 ટકા છે, જેને ઉપર લાવવાની જવાબદારી નરેન્દ્ર મોદીના શિરે રહેશે.
મોદીને લઇને આશંકા નવી નથી
સમાચારપત્ર અનુસાર મોદી અને ભાજપને લઇને કથાકથિત ધર્મનિર્પેક્ષતાવાદી ટીકાઓની આપત્તિઓને નજરઅંદાજ કરતા કહ્યું છે કે તેમણે મુસ્લિમવિરોધી બયાનબાજી છોડી દીધી છે. મોદીની સરકાર બનવાથી લોકતાંત્રિક સંસ્થાઓના ક્ષરણ અને ધાર્મિક ઉન્માદ વધવાની આશંકાઓ અંગે સમાચારપત્રે કહ્યું કે, ભારતની રાજકીય સંસ્કૃતિ આવી ઉગ્રતાવાદને હાવી થતી રોકવામાં સક્ષમ છે. મોદીને લઇને આશંકાઓ નવી નથી. વર્ષ 1998માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી હતી ત્યારે પણ આ જ પ્રકારની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
મોદી પ્રત્યે અમેરિકાનું કૂણું વલણ
અમેરિકાના ઓબામા પ્રશાસન દ્વારા મોદી તરફ મિત્રતાનો હાથ વધારવાના કદમની પ્રશંસા સમાચારપત્રે કરી છે અને કહ્યું છે કે એ વિચારવું યોગ્ય છેકે મોદી સાંપ્રદાયિક ભેદભાવને વધારવાના બદલે અર્થવ્યવસ્થાને આગળ વધારવાના પોતાના વાયદા પર કામ કરશે. નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં ઓબામા પ્રશાસને મોદી પ્રત્યે કૂણું વલણ અપનાવ્યું છે.
2002ને લઇને મોદીની અનેકવાર થઇ ટીકા
2002માં ગુજરાતમાં જે મુસ્લિમ વિરોધી રમખાણો થયા અને તેમાં 1000 કરતા વધુ લોકોના મોત થયા તેને લઇને મોદીની અવાર નવાર ટીકા કરવામાં આવી રહી છે. મોદી સરકાર આ રમખાણોને રોકવામાં નિષ્ફળ ગઇ હોવાના આરોપો વિવિધ હ્યુમ રાઇટ્સ ગ્રુપ્સ અને રાજકીય પાર્ટીઓ તથા અમેરિકા જેવા દેશો દ્વારા લગાવવામાં આવ્યા છે. યુએસે તેમના પર વિઝા પ્રતિબંધ લગાવી દીધો હતો. એ ઉપરાંત મોદી દ્વારા એ રમખાણોને લઇને માફી માગવામાં આવી નથી તેવું પણ ટીકાકારો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
મોદીએ મુસ્લિમ વિરોધી વલણ છોડી દીધું છે
સમાચારપત્રે મોદીની અનેક ખામીઓને ગણાવી છે પરંતુ સાથે જ કહ્યું છે કે, તેમનામાં ખામી કરતા વધારે સકારાત્મક પહેલુંઓ છે. તેઓ ભલે 2002ના રમખાણો અંગે કોઇ માફી ના માગતા હોય પરંતુ તેમના દ્વારા એક સભામાં કહેવામાં આવ્યું હતું કે તેમના માટે શૌચાલય પહેલા અને પછી મંદિર છે, તેના પરથી એ વાત સ્પષ્ટ થઇ રહી છેકે, તેમના માટે વિકાસ પહેલા આવે છે, તેના પરથી એ પણ સાબિત થાય છે કે તેમણે સાંપ્રદાયિક અને મુસ્લિમ વિરોધી વલણ છોડી દીધું છે.