લંડન, 23 એપ્રિલ : બ્રિટનની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી, કેબ્રિજ યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ વગેરેમાં કામ કરતા ભારતીય મૂળના 75 પ્રોફેસર્સ અને અન્યોએ આજે લખેલા ખુલ્લા પત્રમાં જણાવ્યું છે કે 'નરેન્દ્ર મોદીના સત્તામાં આવવા મુદ્દે અમે ભયભીત છીએ.'
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પ્રોફેસર ચેતન ભટ્ટ અને ગૌતમ અપ્પાએ બ્રિટનમાં ડાબેરી તરફી સમાચાર પત્ર 'ઇન્ડિપેન્ડેન્ટ'માં એક ખુલ્લો પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને નિશાન બનાવાયા છે.
ખુલ્લા પત્રમાં લખવામાં આવ્યું છે કે 'હવે જ્યારે ભારતના લોકો આગામી સરકાર ચૂંટવા માટે મતદાન કરી રહ્યા છે, અમે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપ સરકારથી ભારતની લોકશાહી, બહુમતીવાદ અને માનવઅધિકાર પર પડનારી અસરો અંગે ચિંતિત છીએ.'
આ પત્રના શીર્ષકમાં લખવામાં આવ્યું છે કે 'સત્તામાં નરેન્દ્ર મોદીનો વિચાર અમને ભયભીત કરે છે.' તેમાં આગળ લખ્યું છે કે નરેન્દ્ર મોદી હિન્દુ રાષ્ટ્રવાદી આંદોલન, ખાસ કરીને આરએસએસ અને સંઘ પરિવારમાં રચ્યા પચ્યા રહે છે. તેમનો ઇતિહાસ લધુમતીઓની વિરુદ્ધ હિંસા ભડકાવવાનો રહ્યો છે. તેમાંથી કેટલાક સમુહો નાગરિકોની વિરુદ્ધમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં આરોપી થયા છે.
આ પત્રના પહેલા પણ ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી અને કલાકર અનિશ કપૂર તથા અન્યોએ આ મહિનાના પ્રારંભમાં પોતાના વિચારો વ્યક્ત કરતો એક ખુલ્લો પત્ર 'ગાર્ડિયન' સમાચાર પત્રને મોકલ્યો હતો.