
ઇસ્લામાબાદ, 5 માર્ચ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી રાજા પરવેઝ અશરફ અઝમેરમાં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર જિયારત માટે શનિવારે ભારત આવશે. જોકે આ પ્રવાસ દરમિયાન અધિકારીક બેઠક અંગે હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. 16 માર્ચના રોજ તેમની સરકારનો કાર્યકાળ પૂર્ણ થયા પહેલા અશરફનો આ લગભગ છેલ્લો વિદેશ પ્રવાસ રહેશે.
રાજનૈતિક અને અન્ય સૂત્રોએ જણાવ્યું કે 9 માર્ચ રોજ એક દિવસીય પ્રવાસ માટેની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. એક સૂત્રએ જણાવ્યું કે ભારતીય નેતાઓ સાથે અધિકારીક બેઠકને લઇને હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.
પાકિસ્તાન સરકારના એક સૂત્રએ જણાવ્યું કે એવું લાગે છે કે પ્રધાનમંત્રી આગામી ચૂંટણીમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સફળતા માટે અઝમેરમાં દરગાહ પર જિયારત કરવા માગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પીપીપી પ્રમુખ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ગયા વર્ષે એપ્રિલમાં અઝમેર સ્થિત પ્રસિદ્ધ મજાર પર જિયારત માટે ભારત આવ્યા હતા અને દરગાહને 10 લાખ ડોલરનું દાન પણ કર્યું હતું.











