ગુજરાતના આ 21 બીચ જોશો તો ચોક્કસ કહેશો- ''હવે ગોવા જવાની જરૂર નથી''
અમારા વાચમિત્રોને અમે ઘણા લેખો થકી ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા મહત્વના અને સુંદર રમણીય દરિયાકાંઠાથી અવગત કરાવી ચૂક્યા છીએ. એજ ક્રમને અમે અહીં આગળ વધારી રહ્યા છીએ. અત્રે નોંધનીય છે કે હરવા ફરવાના શોખીન દરેક ટૂરિસ્ટ અને ટ્રાવેલર માટે સમુદ્ર કિનારો હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. વ્યક્તિ ભલે કોઇ પણ હોય પરંતુ દરિયા કિનારાની સુંદરતા કોઇને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. એવામાં એવું ચોક્કસ કહી શકાય છે કે બીચ ભલેને કોઇપણ દેશના કોઇપણ રાજ્યના કોઇપણ શહેરમાં આવેલો હોય સમુદ્ર તટે હંમેશા નિરવ શાંતિ અને કૂદરતી હૂંફ હોય છે જે તરફ આપણે માનવસહજતાથી ખેંચાઇ જઇએ છીએ.
અત્યાર સુધી આપે મુંબઇ, કેરળ કે ગોવાના જ દરિયા કિનારાઓ વિશે વાંચ્યું હશે અને તેના વિશે વિચાર્યું હશે. પરંતુ શું આપને એ વાતનો જરા પણ ખ્યાલ છે કે ગુજરાત રાજ્ય ભારતમાં 16૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. હા, અને આ 1600 કિમી લાંબા દરિયા કિનારામાં ગુજરાત પાસે કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે. આ સિવાય નવલખી બંદર, મગદલ્લા બંદર, પીપાવાવ બંદર, પોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે.
હવે તમે એ ક્યાસ લગાવી શકો છો કે ગુજરાત પાસે ફરવા લાયક, સુંદર, સોહામણા અને આહલાદ્દક બીચ કેટલા હશે! આમતો ગુજરાત પાસે બીચની કમી નથી પરંતુ સુઘડ અને વિકસિત એવા 21 બીચો અમે તમારા માટે લઇને આવ્યા છીએ, આ બીચ પ્રવાસન માટે સૌથી વધારે જાણીતા છે, આ 21 બીચોને તસવીરોમાં જોયા બાદ આપ ચોક્કસ બોલી ઊઠશો- ''હવે ગોવા જવાની જરૂર નથી.''
ગુજરાતના જાણીતા બીચ જુઓ તસવીરોમાં...
અહેમદપુર માંડવી
સંઘપ્રદેશ દિવની બોર્ડર અને જુનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું અમદપુરમાંડવી નલિયા માંડવીની બીલકુલ નજીક આવેલું છે. આ બીચ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ બીચમાનું એક છે. જે સાત કીમીનો દરિયાકાંઠો ધરાવે છે. અહેમદપુર માંડવીની વધુ માહિતી અને તસવીરો જોવા માટે ક્લિક કરો..
બેટ દ્વારકા
બેટ દ્વારકા એ અતિ પ્રાચિન રમણીય ચંદ્રાકાર ટાપુ છે. ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો અહિયાં ઉધ્ધાર કરેલ શંખોધ્ધાર તરીકે પણ ઓળખાય છે. બેટ દ્વારકા હિન્દુ, મુસ્લીમ તથા શિખના પવિત્ર યાત્રાધામ તરીકે વધારે ઓળખાય છે. બેટ દ્વારકાનીવધુ માહિતી અને તસવીરો જોવા માટે ક્લિક કરો..
ભવાની બીચ (મહુવા બીચ)
મહુવાથી પાંચ કીમી દુર આવેલા ભવાની બીચ પાસે પ્રાચિનકાળનું મંદિર આવેલું છે. બીચની આસપાસ લીલુછમ ઘાસ છે. તેમ કુદરતી સૌંદર્યથી આ બીચ ઓપી ઉઠે છે. રમણિય વાતાવરણ ધરાવતું આ બીચ પ્રવાસી પ્રવૃતિઓ માટે સુરક્ષિત સ્થળ છે. તેમજ આ બીચ સૌરાષ્ટ્રના અન્ય સ્થળો સાથે પણ જોડાયેલ છે. ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટે મોટેલ, હોટેલ, રેસ્ટોરેન્ટ, કાફેટારિયા, ટેન્ટ અને કારવાન ફેસેલિટી ઉભી કરવા અંગે પગલા ભરી રહી છે.
ચોરવાડ બીચ
ચોરવાડ, એક નાનું અમથું ગામ હતું, જે માછલીઓ પકડવા માટે જાણીતું હતું. તેનો વૈભવ ત્યારે વધ્યો, જ્યારે જુનાગઢના નવાબ, મુહમ્મદ મહાબત ખાનજી તૃતીય રસૂલ ખાનજી, જુનાગઢના ક્ષેત્રીય ગવર્નરે 1930માં આ સ્થળ પર પોતાનો ગ્રીષ્મકાલીન મહેલ બનાવ્યો. આ સ્થળ સ્વતંત્રતા સુધી તેમના શાસનને આધીન રહ્યું. આ મહેલ દારિયા મહેલના નામથી પણ જાણીત છે, અને તેની વાસ્તુ શૈલી ઇટાલિયન અને મુસ્લિમ શૈલીઓનું એક મિશ્રણ છે. બાદમાં 1974માં સરકારે તેને પોતાને આધીન કરી દીધું અને તેને એક રિસોર્ટમાં તબદીલ કરી નાંખ્યું. આ સમુદ્ર તટ પર્વતીય સમુદ્રી તટોના કારણે તરવૈયાઓ માટે અસુરક્ષિત છે, પરંતુ તમે અહી નિશ્ચિત રીતે નૌકા વિહારનો આનંદ ઉઠાવી શકો છો, અથવા માછલી પકડવા માટે જાણીતા ગામની યાત્રા કરી શકો છો. આ સ્થળ સપ્તાહંતે આરમ અને આનંદ આપવા માટે લોકપ્રીય સ્થળોમાનું એક છે.
દાંડીનો દરિયાકિનારો
નવસારી જિલ્લામાં આવેલા ઐતિહાસિક દાંડીનો દરિયાકિનારો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામ્યો છે. આ દરિયા કિનારો સુરતથી ખૂબ જ નજીક છે.
દમસ બીચ
દમસ બીચ સુરતમાં આવેલો છે, તે સુરતથી માત્ર 19 કિલોમીટર દૂર આવેલો છે.
દ્વારકા બીચ
જામનગર જિલ્લામાં આવેલું દ્વારકા બીચ પોતાની સુદંરતાની સાથે જ ધાર્મિક મહત્તાના કારણે પણ વિશ્વભરમાં જાણીતું છે. દરિયાકાંઠે આવેલા દ્વારિકાધિશ મંદિરના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટે છે. દ્વારકાના દરિયામાં ડોલફિન, પોર્પાઇઝ,ઓક્ટોપસ સ્ટાર ફિશ જેવા દરિયાઇ જીવો જોવા મળે છે. દ્વારકા જવા માટે જામનગરથી વ્હિકલ મળી શકે છે. તેની નજીકનું એરપોર્ટ જામનગર છે. ભારતભરમાંથી રેલવે થકી દ્વારકા જઇ શકાય છે.
ઘોઘા દરિયાકાંઠો
ઘોઘા દરિયાકાંઠો ભાવનગરથી 20 કિમીના અંતરે આવેલો છે. સ્થાનીકો અને આસપાસના લોકો માટે આ પસંદગીનું સ્થળ માનવામાં આવે છે.
ગોપનાથ મહાદેવ મંદિર અને બીચ
ગોપનાથ ભાવનગરથી 75 કીમી દુર આવેલું છે. ગુજરાતના અન્ય દરિયાકાંઠાની જેમ ગોપનાથમાં પણ સુંદર દરિયાકાંઠાના દર્શન થઇ શકે છે. કલરફુલ પક્ષીઓ, લાઇમ સ્ટોન ક્લિક, સી બ્રિઝીસના કારણે વેકેશન દરમિયાન આ દરિયાકાંઠે લોક મેળાવડો જોવા મળે છે. દરિયાકાંઠે વોકિંગ કરવા માટે પણ આ બીચ ઉત્તમ છે. જો કે, ઉછળતા મોજાઓના કારણે તેમાં દુર સુધી સ્વિમિંગ કરી શકતા નથી. ગોપનાથ નજીક અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, જૈન ધાર્મિક સ્થલ, પાલિતાણા અને તળાજા પણ જોવા લાયક સ્થળ છે.
જામનગર બીચ
સૌરાષ્ટ્રના સુંદર શહેરોમાંનું એક એવું જામનગરના દરિયાની દ્રષ્ટિએ પણ અન્ય શહેરો કરતા વધારે ભાગ્યશાળી છે. જામગનરમાં જોવા માટે અનેક સ્થળો છે. જેમાં પીરાટોન ટાપુ, માઢી, લાગૂન, પોસિત્રા, બાલાછડી, બેડી બંદર વગેરે જામનગરમાં દરિયાકાંઠાના સ્થળો જોવાલાયક છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, કચ્છથી જામનગર સુધી 42 એવા નાના બીચ છે જે ગુજરાતના દરિયાકાંઠાની સુંદરતામાં અનેરો વધારો કરે છે. તેમજ જામનગરના બીચ પર તમને એકાંત પણ મળી શકે છે.
માધવપુર બીચ
માધવપુર જુનાગઢ જિલ્લામાં આવેલુ સુંદર બીચ છે. સૌરાષ્ટ્રના સુંદર બીચીઝમાં માધવપુરનો સમાવેશ કરવામાં આવે છે. માધવપુર બીચની રેતી સુંદર છે. દરિયાનું પાણી શાંત અને ભૂરાશ પડતા રંગનું છે. તેમજ તેનું પાણી છીછરું છે. હોટલ, રેસ્ટોરેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સારી સુવિધાના કારણે આ બીચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે. તેમજ આ બીચને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને કેટલીક યોજનાઓ પર કામગીરી હાથ ધરી છે.
માંડવી બીચ (કચ્છ)
માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે અને ભુજથી લગભગ ૬૦ કી.મી નાં અંતરે આવેલું છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. અહિંનો સુંદર સાગર કીનારો, ૨૦ જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદિર જોવાલાયક છે. શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. બ્રીટીશ રાજ્યના જમાના નો વિજયવિલાસ મહેલ પણ જોવાલાયક છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.
મિયાની બીચ
મિયાની પોરબંદર નજીક આવેલુ નાનુ ગામ છે. મિયાની જામનગર અને પોરબંદર એમ બે મોટા શહેરો સાથે વિભાજિત થયેલું છે. મિયાની નજીક હર્ષદી માતાનું મંદિર આવેલું છે. તેમજ તે બીજી તરફથી મેડા ક્રીક સાથે જોડાયેલુ છે. પ્રવાસન સંબંધિત પ્રવૃતિઓ કરવા માટે મિયાની એક શ્રેષ્ઠ લોકેશન છે. સ્વચ્છ દરિયો અને નાની હિલ રાઇટ પણ આ બીચ પર જોવા મળે છે. તેમજ આ બીચ પોરબદંર, જુનાગઢ, સોમનાથ, દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના શહેરો સાથે જોડાયેલું છે.
નારગોલ બીચ
નારગોલ બીચ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. તેની આસપાસ સુરત અને દહેજ જેવા બે વિશાળ પોર્ટ છે. ઉપરાંત વિકાસની દ્રષ્ટીએ સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતું હોવાથી તેના વિકાસની શક્યતાઓ વધુ છે. સુરત ઉપરાંત નારગોલ બીચની નજીક સાપુતારા, દાડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.
ઓખા મઢી બીચ
ઓખા મઢી બીચ જામનગરના દ્વારકામાં આવેલ છે. અહીં પણ લોકો આનંદની પળો વિતાવવા ઉમટી પડે છે.
પિંગ્લેશ્વર બીચ
કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું પિંગ્લેશ્વર ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સુંદર બીચ્સમાનું એક છે. તે કચ્છથી 100 કીમી. દુર આવેલું છે. વિકાસની દ્રષ્ટિએ પણ તે એક યોગ્ય સ્થળ છે. કચ્છનું હબ ગણાતા પિંગ્લેશ્વરમાં લોકોને આકર્ષવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની ફેસેલિટી જેમ કે, ડ્રિન્ક્સ, સર્ફ, સનબાથ વેગેરે ઉભુ કરવાની યોજના છે. બીચનો આંનદ માણવા આવેલા લોકોને કોઇ સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે ત્યાં મોટેલ, હોટેલ, રેસ્ટોરેન્ટ, કાફેટેરિયાઝ, ટેન્ટ, કાર્વાન ફેસેલિટી ઉભી કરવાની યોજના સરકારની છે.
પોરબંદર બીચ
પોરબંદર બીચ ખૂબ જ જાણીતું પ્રવાસન સ્થળ છે. બીચની આજુબાજુમાં પવન-ચક્કી ફાર્મ આવેલું છે.
સર્કેશ્વર બીચ
અમરેલી અને જુનાગઢ જિલ્લાની સરહદ પર સર્કેશ્વર બીચ આવેલું છે. તેમજ તે દિવની પણ નજીક છે. પાણીનો રંગ લોકોને આકર્ષે તેવો છે. રેતી પણ આહલાદક છે. અહીંયાના દરિયામાં લાંબા અતંર સુધી છીછરું પાણી હોવાના કરાણે ત્યાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરી શકાય છે. તેમજ સર્કેશ્વર બીચની આસપાસનો વિસ્તાર પણ નિહાળવા લાયક છે. રાજ્ય સરકાર દ્વારા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસેટિલટીને યોગ્ય બનાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેથી રાજ્ય બહારના એટલેકે નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓને ગુજરાતના રળીયામણા બીચ તરફ આકર્ષી શકાય.
સોમનાથ બીચ
સૌરાષ્ટ્રના હાર્દસમો સોમનાથ બીચ ભારતના સૌથી શ્રેષ્ઠ બીચીઝમાં સ્થાન ધરાવે છે. તેની એક ખાસિયત એ પણ છે કે ત્યાં શિવ મંદિર આવેલું છે જે 12 જ્યોર્તિલિંગમાનું એક છે. મહાશિવરાત્રી દરમિયાન ત્યાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. જો કે, સોમનાથનો બીચ સ્વિમિંગ કરવા માટે ઉત્તમ માનવામાં આવતો નથી. શાંત વાતાવરણમાં કુદરતી સૌંદર્યને માણવાનો એક અનેરો આંનદ આ બીચ પરથી મળી શકે છે. સોમનાથના બીચ પર કેમલ રાઇડ અને લાઇટ સ્નેક્સનો આનંદ માળી શકો છો.
સુવાળી બીચ
સુવાળી બીચ સુરતમાં આવેલું છે. એક નયન રમ્ય તસવીર.
તિથલ બીચ
તિથલ બીચ પણ નારગોલ બીચની જેમ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. આ બીચ પણ સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતું હોવાથી તેના વિકાસનો વ્યાપ વઘારે છે. તિથલ બીચ ગુજરાતના શ્રેષ્ઠ માણવા લાયક સ્થળોમાનું એક સ્થળ છે. તેમજ સુરત ઉપરાંત સાપુતારા, દાંડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો પણ આ બીચની નજીક છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.
જુઓ મહારાષ્ટ્રના જાણીતા બીચ તસવીરોમાં..
દૂર એકાંતમાં ફૂર્સતની પળોને માણો આ બીચ પર... વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો....