જ્યારે પાકિસ્તાનના 3 હજાર બોમ્બ પણ મંદિરનો કાંકરો ન હલાવી શક્યા
દેશમાં જ્યારે પણ 14 ફેબ્રુઆરીનો ઉલ્લેખ થશે, ત્યારે જમ્મુ કાશ્મીરમાં થયેલા પુલવામા આતંકી હુમલાને પણ યાદ કરાશે, જેણે દેશના CRPFના 40 જવાનોનો ભોગ લીધો.
દેશમાં જ્યારે પણ 14 ફેબ્રુઆરીનો ઉલ્લેખ થશે, ત્યારે જમ્મુ કાશ્મીરમાં થયેલા પુલવામા આતંકી હુમલાને પણ યાદ કરાશે, જેણે દેશના CRPFના 40 જવાનોનો ભોગ લીધો. આતંકની નર્સરી પાકિસ્તાનની જમીન પરથી ચાલતા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કમાન્ડર આદિલ અહેમદ ડારે આ હુમલાને અંજામ આપ્યો હતો.
આ હુમલા બાદ દેશભરમાં આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ જબરજસ્ત ગુસ્સો છે. દેશભરમાં લોકો પ્રદર્શન કરીને પાકિસ્તાનને પાઠ ભણાવવા બદલો લેવા માગ કરી રહ્યા છે. બંને દેશની સરહહદો પર માહોલ તંગ છે, સુરક્ષા પણ વધારી દેવાઈ છે. ભારત પાકિસ્તાન વચ્ચે 2019માં યુદ્ધ થશે કે નહીં તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ તમે એ પહેલા એક એવા ચમત્કારિક મંદિર વિશે જાણી લો જે પાકિસ્તાની સૈન્યના 3 હજાર બોમ્બના વરસાદ વચ્ચે પણ જેમનું તેમ જ રહ્યું.
તનોટ મંદિરના સંગ્રહાલયમાં મૂકાયેલા પાકિસ્તાની બોમ્બ
આ વાતનો પુરાવો છે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા તનોટ રાય માતાના મંદિરમાં રહેલા પાકિસ્તાની બોમ્બ. એટલે જ તનોટ માતાને ભારતીય સૈન્યની આરાધ્ય દેવી કે પછી યુદ્ધવાળી દેવીના નામથી ઓળખવામાં આવે છે. મંદિરનું મેનેજમેન્ટ પણ BSF દ્વારા થાય છે. ભારતીય જવાનો જ આ મંદિરમાં પૂજા અર્ચના કરે છે અને મંદિરની દેખરેખ રાખે છે.
કોણ હતા તનોટરાય માતા
તનોટ રાય માતા મંદિરના પરિસરમાં લાગેલા શિલાલેખ પરથી ખ્યાલ આવે છે કે જેસલમેર નિવાસી મામડિયાંજીના ઘરે વિક્રમ સંવત 808માં ચૈત્ર સુદ નોમના રોજે પહેલા સંતાન તરીકે ભગવતી શ્રી આવડદેવી એટલે કે તનોટ માતાનો જન્મ થયો હતો. તનોટ માતાની આશી, સેસી, ગેહલી, હોલ રુપ અને લાંગ નામની છ બહેનો હતી. દેવીમાંના જન્મ બાદ આ વિસ્તારમાં ઘણા ચમત્કાર જોવા મળ્યા, તો લોકોનું ભલુ પણ થયું. આ વિસ્તારમાં રાજા ભાટી તનુરાવજીએ વિક્રમ સંવત 847માં તનોટ ગઢ બંધાવવાની શરૂઆત કરી હતી, બાદમાં અહીં દેવીનું મંદિર બનાવાયું અને તેઓ તનોટરાય માતાના નામે ઓળખાયા.
1965ના ભારત-પાક. યુદ્ધમાં ન ફૂટ્યા બોમ્બ
1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે પાકિસ્તાની સૈન્યએ તનોટરાય માતા મંદિરની આસપાસ 3 હજાર બોમ્બ ફેંક્યા હતા. જો કે એક પણ બોમ્બ મંદિરને નુક્સાન ન પહોંચાડી શક્યો. મંદિરનો એક કાંકરો પણ ન હલ્યો. તનોટ માતાના ચમત્કારને કારણે પાકિસ્તાની બોમ્બ ફૂટ્યા જ નહીં. બોમ્બ જમીનમાં ઘૂસી ગયા હતા, જેને યુદ્ધ સમાપ્ત થયા બાદ BSFએ શોધીને બહાર કાઢ્યા. આ દરમિયાન 450થી વધુ જીવતા બોમ્બ મળ્યા હતા, જેને નિષ્ક્રિય કરીને તનોટ માતા મંદિરના સંગ્રહાલયમાં મૂકાયા છે.
1971ના ભારત-પાક. યુદ્ધમાં ફસાઈ પાકિસ્તાની ટેન્ક
જ્યારે 1971માં ભારત-પાક. વચ્ચે વધુ એક યુદ્ધ થયું તો ફરી તનોટ માતાનો ચમત્કાર જોવા મળ્યો. કહેવાય છે કે પાકિસ્તાની સૈન્ય ટેન્ક લગભગ 200 જેટલા પાકિસ્તાની સૈનિકોને લઈ તનોટરાય માતાના મંદિર પાસેથી આગળ વધવા ઈચ્છતી હતી. પરંતુ તેમના ટેન્ક માટીમાં જ ફસાઈ ગયા. જેને ભારતીય એરફોર્સે બોમ્બાર્ડિંગ કરીને નષ્ટ કરી નાખી.
કેવી રીતે પહોંચશો તનોટ મંદિર
તનોટ માતાના દર્શન કરવા ઈચ્છો છો તો તમારે સૌથી પહેલા રાજસ્થાનના જેસલમેર પહોંચવું પડશે. અહીં પહોંચવા માટે દેશના દરેક વિસ્તારોમાંથી સુવિધા ઉપલબ્ધ છે. જેસલમેરથી લગભગ 130 કિલોમીટર દૂર તનોટ માતાનું મંદિર છે. તમે જેસલમેરથી પ્રાઈવેટ કાર કરી શકો છો, તો રાજસ્થાન રોડવેઝની બસ પણ તનોટ સુધી જાય છે.
આઈડી કાર્ડ જોડે રાખવું જરૂરી
તનોટરાય માતાના મંદિરનો વિસ્તાર સંવેદનશીલ છે. અહીં બીએસએફ આવતા જતા તમામ શ્રદ્ધાળુઓ પર નજર રાખે છે, એટલે સાથે આઈડી કાર્ડ હોવું જરૂરી છે. જેથી તમે તપાસની પરેશાનીમાંથી બચી શકો છો.
બોર્ડર ફિલ્મમાં હતો ઉલ્લેખ
1997માં આવેલી જે. પી. દત્તાની ફિલ્મ બોર્ડરમાં પણ જેસલમેરના તનોટ માતાના મંદિરનો ઉલ્લેખ હતો. ફિલ્મ બોર્ડરમાં લોંગેવાલા માતાનું જે મંદિર બતાવાયું હતું તે પણ જેસલમેરમાં જ છે.