મુંબઈમાં આ 6 જગ્યાએ માણી શક્શો ગણપતિ વિસર્જનનો અદભૂત નજારો
ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. મુંબઈમાં ગણેશ મહોત્સવની અલગ જ રોનક જોવા મળે છે. 10 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં જેટલું મહત્વ ગણપતિ પૂજાનું છે, તેટલું જ ગણપતિ વિસર્જનનું પણ છે.
ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. મુંબઈમાં ગણેશ મહોત્સવની અલગ જ રોનક જોવા મળે છે. 10 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં જેટલું મહત્વ ગણપતિ પૂજાનું છે, તેટલું જ ગણપતિ વિસર્જનનું પણ છે. એટલે સુધી કે લોકો દેશના જુદા જુદા વિસ્તારોમાંથી ફક્ત ગણેશ મહોત્સવ જોવા અને ગણપતિના દર્શન કરવા મુંબઈ આવે છે. જો તમે પણ ગણપતિ મહોત્સવ માણવા મુંબઈ જતા હો, તો જાણી લો એ જગ્યા વિશે જ્યાં ગણપતિ વિસર્જનનો ભાગ બનીને આનંદ માણી શક્શો.
ગિરગાંવ ચોપાટી
ગિરગાંવ ચોપાટી એ ગણેશ વિસર્જન માટે સૌથી પહેલી પસંદ છે, મુંબઈના સુંદર બીચમાંના એક એવા ગિરગાવ ચોંપાટીની બિલકુલ સામે જાણીતી વિલ્સન કોલેજ છે. અહીં મુંબઈના ખૂણે ખૂણેથી હજારો લોકો ગણપતિ વિસર્જન માટે આવે છે. ટ્રાફિક અને સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ તરફ આવતા મોટા ભાગના રસ્તા બંધ કરી દેવાય છે. એટલે તમે ગ્રાન્ટ રોડ કે મરીન લાઈન્સ સુધઈ ટ્રેન દ્વારા આવો, તો ત્યાંથી ફક્ત 10 મિનિટમાં ચોપાટી પહોંચી શખાય છે. મુંબઈના જાણીતા લાલ બાગચા રાજાના ગણેશજીની મૂર્તિ પણ ચોપાટીના દરિયામાં જ વિસર્જિત કરાય છે.
જુહૂ બીચ
ગણેશ વિસર્જન માટે આ બીચ પર પણ લોકોની ભારે ભીડ જોવા મળે છે. બપોરથી શરૂ થતો વિસર્જનનો કાર્યક્રમ મોડી રાત સુધી ચાલે છે. ઢોલ નગારા સાથે બાપ્પાને વિદાય આપવામાં આવે છે. અહીં પણ વિસર્જન દરમિયાન કેટલાક રસ્તા બંધ કરી દેવામાં આવે છે. તો વિસર્જનમાં સામેલ થવા અને તેની રોનક જોવા માટે સાંતાક્રૂઝ કે પશ્ચિમ રેલવેના ખાર સ્ટેશન પર ઉતરીને બસ દ્વારા જુહુ પહોંચી શખાય છે.
પવઈ લેક
હીરાનંદાની જેવી આલિશાન જગ્યાએ સ્થિતિ પવઈ પણ ગણેશ વિસર્જન માટે પ્રખ્યાત છે. જો કે અહીં ગિરગાંવ ચોપાટી કે જુહૂ બીચ જેટલી ભીડ નથી હોતી, પરંતુ માહોલ તો બિલકુલ એવો જ હોય છે. નાચ ગાન સાથે ગણપતિ બપ્પા મોરયાની ગૂંજ સાથે ભગવાનની પ્રતિમા વિસર્જિત કરવામાં આવે છે. વિસર્જન જોવા માટે તમે અંધેરી ઉતરીને લોકલ બસ કે રિક્ષા દ્વારા અહીં પહોંચી શકો છો.
બેન્ડસ્ટેન્ડ, બાંદ્રા
બાંદ્રાનું બેન્ડસેન્ડ પણ ગણેશ વિસર્જન જોવા માટે સારો વિકલ્પ છે. આમ તો આ જગ્યા અન્ય જગ્યા જેટલી જાણીતી નથી. પરંતુ ભીડ ઓછી હોવાને કારણે અહીં કેટલાક ફિલ્મસ્ટાર પણ વિસર્જન કરવા આવે છે. સલમાન ખાન અને શાહરૂખ ખાનનું ઘર પણ અહીં જ છે.
વર્સોવા બીચ
જુહૂ બીચથી થોડેક જ દૂર આવેલો વર્સોવા બીચ મુંબઈના સૌથી ચોખ્ખા બીચમાંનો એક છે. અહીં મોટા પાયે ગણેશ વિસર્જનના સુંદર દ્રશ્યો જોવા મળી શકે છે. નાચતા ગાતા વર્સોવા અને આસપાસના લોકો ગણપતિ બપ્પાને વિદાય આપવા અહીં આવે છે.
ગોરાઈ જેટી, બોરિવલી
હીરા નંદાનીમાં સ્થિત બોરિવલી પણ ગણપતિ વિસર્જન માટે જાણીતું છે. ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા, દેવા હો દેવા ગણપતિ દેવાના નાદ સાથે મહિલાઓ પણ નાચતા નાચતા બાપ્પાને વિદાય આપે છે. હજારોની સંખ્યામાં અહીં લોકો વિસર્જન પહેલા ગણપતિના અંતિમ દર્શન માટે પહોંચે છે.
મુંબઈમાં ગણેશ ચતુર્થીથી વિસર્જન સુધીનો નજારો ખાસ હોય છે. અહીં દેશ વિદેશથી લોકો આ નજારો માણવા આવે છે.