How to : એક આઇડિયાને તમે બનશો લખપતિ, ભારતીય રેલ્વેની આ તક ઝડપો
ભારતીય રેલ્વે તમને લખપતિ બનવા માટે એક તક આપે છે. આ માટે ખાલી તમારે એક સારો આઇડિયા કે એક સારું સૂચન આપવાનું છે. જો તમારું સૂચન તેમને પસંદ આવ્યું તો તે તમને 10 લાખથી લઇને 1 લાખ સુધીનું ઇનામ આપશે.
ભારતમાં ધણા લોકો પાસે એક થી એક ચડિયાતા આઇડિયા હોય છે. પણ હવે તમારી આ સલાહ કે નવા આઇડિયા આપવાની કળા તમને લખપતિ પણ બનાવી શકે છે. અને આવો અવસર તમને આપે છે ભારતીય રેલ્વે. તમારે ખાલી તમારો આ આઇડિયા રેલ્વેને આપવાનો છે અને જો રેલ્વેને તે આઇડિયા પસંદ આવી ગયો તો તે તમે 10 લાખ રૂપિયા સુધીનું ઇનામ પણ જીતાડી શકે છે. આ વાત સો ટકા સાચી છે. આ માટે તમારે ખાલી ભારતીય રેલ્વેની એક હરિફાઇમાં ભાગ લેવાનો છે. આ હરિફાઇમાં રેલ્વે કેવી રીતે નફો કરી શકે અને કેવી રીતે તે પોતાની સર્વિસ વધારી શકે તે માટે તેને લોકોનું સૂચન જોઇએ છે. જો તમારું સૂચન તેમને પસંદ આવ્યું તો તે તમને 10 લાખથી લઇને 1 લાખ સુધીનું ઇનામ આપશે. આ હરિફાઇમાં ભાગ લેવા માટે તમારે ઓનલાઇન આવેદન આપવું પડશે. અને તેમાં કેટલાક નિયમ અને શર્તો પણ છે જે પણ લાગુ પડશે. આ તમામ શરતોને સ્વીકારી તમારે તમારા સૂચન રેલ્વેને મોકલવાના રહેશે. ત્યારે શું છે આ હરિફાઇ કેવી રીતે ભરશો આવેદન બધું જ જાણો નીચે...
શું છે હરિફાઇ?
આ હરિફાઇ તમામ ભારતીયો માટે છે જેનું નામ છે "How to Raise Money For Railways To Provide Better Services" એટલે કે સારી સુવિધાઓ આપીને રેલ્વે કેવી રીતે પોતાની કમાણી વધારે. આ હરિફાઇ હેઠળ તમે સૂચન આપી શકો છો. સર્વશ્રેષ્ઠ સૂચન આપનાર પ્રથમ વિજેતાને 10 લાખ રૂપિયાનું ઇનામ મળશે. જ્યારે બીજા નંબરના વિજેતાને પાંચ લાખ અને ત્રીજા નંબરના વિજેતાને 3 લાખનું ઇનામ મળશે. તો વળી ચોથા નંબરના વિજેતાને એક લાખ રૂપિયાનું ઇનામ મળશે.
કેવી રીતે ભરશો અરજી?
આ હરિફાઇમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ 19 મે 2018, સાંજે 6 વાગ્યા સુધીમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જે માટે સૌથી પહેલા તમારે http://www.innovate.mygov.in પર જવું પડશે. હવે "Click here to Participate" પર ક્લિક કરો. તે પછી તમારી સામે એક પેજ ખુલશે. જ્યાં તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો. અહીં રજિસ્ટ્રેશન ફોર્મ અને સબ્મિશન ફોર્મ ભરવું પડશે. આ દરમિયાન તમારે ઓનલાઇન એન્ટ્રી સબમિશન ફોર્મમાં આપેલી ગાઇડલાઇનને પણ સારી રીતે સમજી લેવી પડશે. સંપૂર્ણ ફોર્મ ભર્યા પછી, તમે એક વાર ફોર્મ તપાસી લો કે બધું બરાબર ભર્યું છે કે કેમ? અને અંતમાં સબમિટ બટન દબાવો. ફોર્મ જમા થયા પછી તમને કન્ફર્મેશન મેલ પણ આવશે. અને તો જો કોઇ મુશ્કેલી નડે તો [email protected] પર મેલ દ્વારા તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો.
તમારા કામની વાત
આ હરિફાઇમાં ભાગ લેવા માટે તમારે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પડશે. જેમ કે તમે જે સૂચન આપશો તે તમારે હિન્દી કે અંગ્રેજી ભાષામાં લખવાનો રહેશે. સાથે જ સૂચન 1 હજાર શબ્દોથી વધુનો ના હોવો જોઇએ. વળી દોઢસો શબ્દોનો નિષ્કર્ષ અલગથી લખવો પડશે. સાથે જ તમારે તમારા સૂચન કે આઇડીયાનું PDF ફાઇલ કે પાવર પોઇન્ટ પ્રેજન્ટ્રેશન પણ તૈયાર કરીને સાથે જોડી મોકલવાનું રહેશે. જો કે આ પ્રેજન્ટ્રેશન પણ 8 MB થી વધુનું ના હોવું જોઇએ. તો આ તમામ વાતોનું ખાસ ધ્યાન રાખજો.
કોણ ભાગ લઇ શકે આમાં?
ઉલ્લેખનીય છે કે રેલ્વે મંત્રાલયની અધિકૃત ટ્વિટર હેન્ડલર પર જે મુજબ જાણકારી આપી છે તે મુજબ આ હરિફાઇમાં ભાગ લેનાર ઉમેદવારને 20 માર્ચ 2018 સુધી 18 વર્ષનું હોવું અનિવાર્ય છે. આ સિવાય તેમાં કોઇ પણ ભાગ લઇ શકે છે. તો જો તમારી પાસે કોઇ સારો આઇડિયા છે અને તમે દેશ હિત માટે કે કંઇ સારું કરવા ઇચ્છો છો તો સરકારની મદદ આ રીતે હરિફાઇમાં ભાગ લઇને કરી શકો છો. અને તમારા ઉત્તમ સૂચન આપી ઇનામના હકદાર પણ બની શકો છો.