ધોતિયાકાંડમાં કોર્ટે પ્રવીણ તોગડિયા સમેત 39 આરોપીઓને મુક્ત કર્યા, જાણો કેમ?
આત્મારામ પટેલ કેસમાં પ્રવીણ તોગડિયા સમેત 39 આરોપીઓને અમદાવાદ મેટ્રો કોર્ટે આરોપોમાંથી મુક્ત કર્યા છે. જાણો આ ખબર અંગે વધુ વિગતો અહીં.
ઉલ્લેખનીય છે કે જે કેસમાં વિહપના પ્રવીણ તોગડિયાના અરેસ્ટ વોરંટ નીકળ્યા હતા. તે જ કેસમાં આજે મેટ્રો કોર્ટે પ્રવીણ તોગડિયા, બાબુ પટેલ સમેત કુલ 39 લોકોને નિર્દોષ જાહેર કરીને આરોપોથી મુક્ત કર્યા છે. નોંધનીય છે કે 1996માં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલનું જાહેરમાં ધોતિયું ખેંચવામાં આવ્યું હતું. અને તેને માર મારવામાં પણ આવ્યો હતો. જે બાદ ભાજપની સમગ્ર રાજ્યમાં ફજેતી થઇ હતી. મહેસાણાના સહકારી આગેવાન તેના આત્મારામ પટેલ શંકરસિંહ વાઘેલા સાથે ભાજપ છોડી જતા રહ્યા હતા તેના વખગે ભાજપના જ કાર્યકર્તાઓએ વિરોધ નોંધવવા તેમનું ધોતિયું ખેંચ્યુ હતું તેમ જાણવા મળ્યું હતું. જો કે લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં છેવટે વિશ્વ હિંદુ પરિષદના વિવાદિત નેતા પ્રવીણ તોગડિયા વિરુદ્ધ અરેસ્ટ વોરંટ બહાર પાડતા, ફરીથી આ કેસ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો હતો.
જો કે હવે તેમાં નવો વળાંક આવ્યો છે. આત્મારામ પટેલનું ધોતિયું ખેચવાનો મામલો મેટ્રો કોર્ટે પ્રવીણ તોગડીયા, બાબુ જમના પટેલ સહિત 39 લોકોને આ કેસમાં છોડી મોકવાનો આદેશ કર્યો છે. નોંધનીય છે કે સરકાર દ્વારા CRPCની કલમ 321 મુજબ કેસ વિડ્રો કરવાની અરજી કરવામાં આવી હતી. જેને નામદાર કોર્ટે માન્ય રાખી હતી. જેના પગલે આ કેસના આરોપી તમામ લોકોને આરોપોથી મુક્ત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે જ્યારથી પ્રવીણ તોગડિયા અચાનક જ ગુમ થયા હતા તે પછીથી પ્રવીણ તોગડિયા અને રાજ્ય તથા કેન્દ્રની સરકાર વચ્ચે 36નો આંકડો થઇ ગયો છે. હોસ્પિટલમાંથી છૂટ્યા પછી પ્રવીણ તોગડિયાએ એન્કાઉન્ટર કરાવાથી માંડીને અનેક આરોપો સરકાર પર લગાવ્યા હતા. ત્યારે સરકાર દ્વારા જ આ કેસ પાછો ખેંચવાથી ચોક્કસથી પ્રવીણ તોગડિયાને થોડી રાહત રહેશે. ત્યારે આ કેસ આવા સમયે પાછો ખેંચવામાં આવ્યો છે જે સમયે તે અનેક રાજકીય સમીકરણો ઊભા કરી શકવા સક્ષમ છે. ત્યારે શું આ દ્વારા સરકાર પ્રવીણ તોગડિયાને મનાવવા માંગે છે કે પછી શું તે તો આવનારો સમય જ કહેશે. પણ હાલ પુરતું આ કેસમાં પ્રવીણ તોગડિયા સમેત 39 લોકો આરોપોમાંથી મુક્ત થયા છે.